જામનગરની બાળ નૃત્યાંગના આરુષી દવેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવપૂર્ણ સન્માન



જામનગરની બાળ નૃત્યાંગના આરુષી દવેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવપૂર્ણ સન્માન



જામનગર: “ઉંમર નાની હોય તો શું? સપનાઓ મોટા હોય તો સિદ્ધિઓ પોતે જ માર્ગ શોધી લે છે.” આ વિચારને સાચો સાબિત કરતી જામનગરની બાળ નૃત્યાંગના આરુષી જયભાઈ દવેએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે.
માત્ર 30 સેકન્ડમાં ભરતનાટ્યમના નવરસ—શૃંગાર, હાસ્ય, કરુણા, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્ભુત અને શાંત—ની અભિવ્યક્તિ કરીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યા બાદ આરુષીને હવે રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંશાપત્ર એનાયત કરવામાં આવ્યા છે.
જામનગરની પ્રતિભાશાળી બાળ નૃત્યાંગના આરુષી જયભાઈ દવેએ પોતાની અદભૂત ઇચ્છાશક્તિ, કઠોર મહેનત અને કળા પ્રત્યેના સમર્પણના બળે આ સિદ્ધિ મેળવી છે. અગાઉના વર્લ્ડ રેકોર્ડ બાદ તેમને સતત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મળી રહી છે.
ખાસ વાત એ છે કે નાની ઉંમરે તેમણે ગંભીર ગિલિયન-બારે સિન્ડ્રોમ (GBS) જેવી બીમારી સામે હિંમતપૂર્વક લડત આપી હતી. મુશ્કેલ પરિસ્થિતિઓને પાર કરીને તેઓએ ફરી નૃત્ય ક્ષેત્રે પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે અને આજે અનેક બાળકો માટે પ્રેરણાસ્ત્રોત બની છે.
આરોષી હાલ જામનગરની પી.એમ. શ્રી કેન્દ્રીય વિદ્યાલય, વાલસુરા ખાતે અભ્યાસ કરે છે અને શકુંતલ સ્કૂલ ઓફ ડાન્સમાં ગુરુ શ્રીમતી હિરબેન પરેશભાઈ બુચના માર્ગદર્શન હેઠળ ભરતનાટ્યમની તાલીમ મેળવી રહી છે.
આ સિદ્ધિ બદલ આરુષીએ પરિવારજનો, ગુરુજનો, શાળા પરિવાર તેમજ સમગ્ર જામનગરનું ગૌરવ વધાર્યું છે. તેમની સફળતા ફરી એકવાર સાબિત કરે છે કે સપનાઓ મોટા હોય તો સિદ્ધિઓ પોતે જ માર્ગ શોધી લે છે.




