ભાજપની ઓફર ઠુકરાવી એટલે ચૈતર વસાવાને સજા કરાવડાવીઃ ઇસુદાન ગઢવી



ભાજપની ઓફર ઠુકરાવી એટલે ચૈતર વસાવાને સજા કરાવડાવીઃ ઇસુદાન ગઢવી



Ishudan Gadhavi: આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા સામે આવેલા ચુકાદા મુદ્દે ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે, આદિવાસી સમાજના હકો માટે લડત લડતા ચૈતર વસાવા ભાજપને આંખના કણાની જેમ ખૂંચતા હતા.
ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, ભાજપે વારંવાર ચૈતર વસાવા સામે કેસો કર્યા અને તેમને જેલમાં મોકલવાનો પ્રયાસ કર્યો. તેમના જણાવ્યા અનુસાર, ચૈતર વસાવાએ વન કર્મચારી અને ખેતરના માલિક વચ્ચે સમાધાન કરાવવાની ભૂમિકા ભજવી હતી, પરંતુ ત્યારબાદ કર્મચારીઓને ડરાવી-ધમકાવીને તેમની સામે પોલીસ ફરિયાદ કરાવવામાં આવી હતી.
તેમણે વધુમાં કહ્યું કે, ચૈતર વસાવા સતત સમાજના પ્રશ્નો અને આદિવાસી હિતોના મુદ્દાઓ ઉઠાવતા હોવાથી ભાજપને તે પસંદ નહોતું. ભાજપે તેમને અનેક લાલચો પણ આપ્યા હતા, પરંતુ તેઓ ક્યારેય ભાજપમાં જોડાયા નહોતા.
ઈસુદાન ગઢવીએ આરોપ લગાવ્યો કે, રાજકીય ચાલના ભાગરૂપે ચૈતર વસાવાને સજા કરાવવામાં આવી છે. તેમણે દાવો કર્યો કે, આદિવાસી સમાજ આ મુદ્દે ભાજપને છોડશે નહીં. AAP પ્રદેશ પ્રમુખે જણાવ્યું કે, પાર્ટી આ ચુકાદા સામે ઉપલી અદાલતનો દરવાજો ખખડાવશે અને તેમને ન્યાય મળશે તેવી સંપૂર્ણ આશા છે.




