ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ મિસાઇલ સપ્લાયનો કરાર, સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગને મળશે નવી દિશા



ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ મિસાઇલ સપ્લાયનો કરાર, સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગને મળશે નવી દિશા



India-Indonesia Relationship: ભારતે મંગળવારે ઇન્ડોનેશિયા સાથે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલની સપ્લાય માટે મહત્વપૂર્ણ કરાર કર્યો છે. આ કરારથી એક તરફ ભારત અને દક્ષિણ-પૂર્વ એશિયાના મહત્વપૂર્ણ દેશ ઇન્ડોનેશિયા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો વધુ મજબૂત બનશે તો બીજી તરફ ભારતના સ્થાનિક સંરક્ષણ ઉદ્યોગને પણ મોટો પ્રોત્સાહન મળશે.
આ ઉપરાંત ઇન્ડોનેશિયા ભારત દ્વારા વિકસિત 'અસ્ત્ર' એર-ટુ-એર મિસાઇલ પણ ખરીદશે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) દ્વારા વિકસાવવામાં આવેલી 'અસ્ત્ર' એક 'બિયૉન્ડ વિઝ્યુઅલ રેન્જ' (BVR) મિસાઇલ છે, જે હવામાં ઝડપી દિશા બદલતા દુશ્મનના વિમાનોને નિશાન બનાવીને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. માહિતી અનુસાર, ભારત ઇન્ડોનેશિયાને બ્રહ્મોસ મિસાઇલની વધારાની બેટરીઓ પણ પૂરી પાડી શકે છે.
આ તમામ કરારો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇન્ડોનેશિયા મુલાકાત દરમિયાન થયા હતા. આ મુલાકાત તેમના ત્રણ દેશોના પ્રવાસના પ્રથમ તબક્કાનો ભાગ છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, "બંને દેશો વચ્ચે વધતો વિશ્વાસ સંરક્ષણ, સુરક્ષા અને દરિયાઈ સહયોગને વધુ મજબૂત બનાવી રહ્યો છે. આજે અમે સંરક્ષણ આદાન-પ્રદાન, આપત્તિ વ્યવસ્થાપન અને ઔદ્યોગિક સહયોગ વધારવા માટે મહત્વપૂર્ણ સમજૂતી પર સહમતિ વ્યક્ત કરી છે."
તેમણે વધુમાં જણાવ્યું કે, "આજના કરારો બાદ ઇન્ડોનેશિયાના નાગરિકોને ભારતમાં ઉત્પાદિત ગુણવત્તાસભર અને સસ્તી દવાઓ વધુ સરળતાથી ઉપલબ્ધ થશે. ભારત ઇન્ડોનેશિયામાં ડૉક્ટરો અને આરોગ્યકર્મીઓની ક્ષમતા વધારવામાં પણ સહયોગ આપશે."
ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સ્ટીલ સપ્લાય ચેઇન માટે જરૂરી ખનિજો અને ટેક્નોલોજી ક્ષેત્રે પણ કરાર કરવામાં આવ્યો છે. તેનો હેતુ મહત્વપૂર્ણ ખનિજોની સપ્લાય ચેઇનને વધુ મજબૂત બનાવવાનો છે. આ ઉપરાંત ભારત ઇન્ડોનેશિયા માટે વિશેષ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) વિકસાવવામાં સહાય કરશે તેમજ ચૂંટણી ટેક્નોલોજીનો અનુભવ પણ વહેંચશે.
આ દરમિયાન ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના સર્વોચ્ચ સન્માન 'બિન્તાંગ આદિપુર્ણા ઑફ ધ રિપબ્લિક ઑફ ઇન્ડોનેશિયા'થી સન્માનિત કર્યા હતા. વર્ષ 1959માં શરૂ કરાયેલું 'બિન્તાંગ આદિપુર્ણા' ઇન્ડોનેશિયાનું સર્વોચ્ચ નાગરિક અને સૈન્ય સન્માન છે, જે અસાધારણ યોગદાન બદલ આપવામાં આવે છે. આ સન્માન વડાપ્રધાન મોદીને વિશ્વભરમાં મળેલા પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સન્માનોની યાદીમાં વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો છે.




