હર્ષ સંઘવીએ 28 "સ્કૂલ ઓન વ્હીલ્સ" સોલાર રણશાળા બસોનું લોકાર્પણ કર્યું



હર્ષ સંઘવીએ 28 "સ્કૂલ ઓન વ્હીલ્સ" સોલાર રણશાળા બસોનું લોકાર્પણ કર્યું



ગાંધીનગર અનોખી અને પ્રેરણાદાયી પહેલ હેઠળ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (ST)ની જૂની બસોને આધુનિક "સ્કૂલ ઓન વ્હીલ્સ"માં રૂપાંતરિત કરવામાં આવી છે. અગરિયા પરિવારના બાળકોને શિક્ષણથી જોડાયેલા રાખવાના હેતુથી તૈયાર કરાયેલી 28 સોલાર રણશાળા બસોનું લોકાર્પણ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ વિશેષ બસોમાં ટીવી, પીવાના પાણીની સુવિધા, વોશ બેસિન, પંખા સહિતની આધુનિક સગવડો ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સાથે જ બસોને સોલાર એનર્જીથી સજ્જ કરવામાં આવી હોવાથી દૂરના વિસ્તારોમાં પણ સરળતાથી શિક્ષણ કાર્ય ચાલુ રાખી શકાશે.
સ્થળાંતર કરતા અગરિયા પરિવારોના બાળકો અભ્યાસથી વંચિત ન રહે અને તેમને સતત શિક્ષણ મળી રહે તે માટે "સ્કૂલ ઓન વ્હીલ્સ" યોજના મહત્વપૂર્ણ સાબિત થશે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દરેક બાળક સુધી શિક્ષણ પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે અને આ પહેલ તે દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
આ પ્રોજેક્ટથી રણ વિસ્તારમાં રહેતા અને સ્થળાંતર કરતા પરિવારોના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવામાં મોટી મદદ મળશે.




