Get News Alerts

Never miss breaking news updates.

હર્ષ સંઘવી સેવકથી નાયબ મુખ્યમંત્રીની સફર, સુરતી હીરાની ચમક જેવી રાજકીય કારકિર્દી

જનતાના સેવકથી શરૂ કરેલી કામગીરીમાં અત્યારે તેઓ રાજ્યના ઉપમુખ્યમંત્રીના પદ સુધી પહોંચી ગયા છે. આ દરમિયાન તેમણે અનેક નેતાઓનો પોતાની કામગીરીથી વિશ્વાસ જીત્યો છે અને રાજ્યના વિકાસમાં મજબૂત ભૂમિકા ભજવી છે. તેનું પરિણામ રૂપે હર્ષ સંઘવી રાજ્યના ઉપ મુખ્યમંત્રી બની ગયા છે, જે તેમના આગામી ઉજ્જવળ ભવિષ્યને દર્શાવી રહ્યો છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 14 Jun 2026 03:18 PM IST
હર્ષ સંઘવી સેવકથી નાયબ મુખ્યમંત્રીની સફર, સુરતી હીરાની ચમક જેવી રાજકીય કારકિર્દીહર્ષ સંઘવી સેવકથી નાયબ મુખ્યમંત્રીની સફર, સુરતી હીરાની ચમક જેવી રાજકીય કારકિર્દી

સુરતની ગલીઓમાંથી શરૂ થયેલી એક સામાન્ય યુવાનની અસામાન્ય સફર આજે ગુજરાતના રાજકીય ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાઈ રહી છે. 15 વર્ષની ઉંમરે સેવાકાર્યથી શરૂઆત કરીને આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય અને સમાજસેવાના કાર્યો કરનાર હર્ષ સંઘવી આજે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે રાજ્યના મહત્વપૂર્ણ જવાબદારીભર્યા પદ સુધી પહોંચી ગયા છે.

યુવા ઉર્જા, સંગઠન ક્ષમતા અને સતત સમર્પણના આધારે તેમણે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાથી લઈને રાજ્યના ગૃહમંત્રી સુધીની સફર પૂર્ણ કરી અને હવે નાયબ મુખ્યમંત્રી તરીકે ગુજરાતના વિકાસમાં નવી દિશા આપવાની જવાબદારી સંભાળી છે. તેમની જીવનયાત્રા માત્ર રાજકીય સફળતા નહીં પરંતુ યુવા પેઢી માટે પ્રેરણાનું જીવંત ઉદાહરણ છે.

આદિવાસી સેવાથી રાજ્યના ઉપ-સીએમ સુધી : હર્ષ સંઘવીની જીવનગાથા
ગુજરાતના રાજકારણમાં હર્ષ સંઘવી એક અલગ જ ઇતિહાસ કંડારી રહ્યાં છે. સૌથી નાની ઉંમરે ધારાસભ્ય બન્યા પછી રાજ્યના ગૃહમંત્રાલયનું જવાબદારીભર્યું અને મહત્વપૂર્ણ જવાબદારી પોતાના ખભાઓ પર લીધી હતી. પોતાને મળેલી જવાબદારીને ખુબ જ સારી રીતે નિભાવીને પોતાની એક આગવી ઓળખ ઉભી કરનારા હર્ષ સંઘવીએ નાની ઉંમરમાં વધુ એક સિદ્ધી પોતાના નામે લખી લીધી છે. જ્યારે પણ ગુજરાતના રાજકારણના ઈતિહાસનો ઉલ્લેખ થશે તો હર્ષ સંઘવીનું નામ લખ્યા વગર તે પૂર્ણ થશે નહીં.

પાછલા કેટલાક સમયથી ગુજરાતની ભૂપેન્દ્ર સરકારના મંત્રીમંડળના વિસ્તરણની વાતો ચાલી રહી હતી. તેથી અનેક અવનવી અટકળો સામે આવી રહી હતી. આજે અટકળો ઉપર પૂર્ણ વિરામ મૂકી દેવામાં આવ્યો છે. મંત્રીમંડળ વિસ્તરણમાં સૌથી પહેલા હર્ષ સંઘવીના નામ પડઘમ સાંભળવામાં મળ્યો હતો. ગુજરાતના નવા નાયબ મુખ્યમંત્રીની જવાબદારી તેમના મજબૂત ખભાઓ ઉપર મૂકવામાં આવી છે. કેન્દ્રીય હાઇકમાને હર્ષ સંઘવી ઉપર કોઈ આશંકા વગર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ સાથે જ ગુજરાતમાં ભાજપની સરકારને આગળ ધપાવવા અને રાજ્યના વિકાસ જેવી મહામૂલી જેવી જવાબદારી સોંપી દેવામાં આવી છે. તો આજે આપણે હર્ષ સંઘવી વિશે વિસ્તારપૂર્વક જાણીશું..

સુરતની ગલીઓમાંથી ઉભરીને ગુજરાતના રાજકીય આકાશમાં ચમકતા તારા જેવા હર્ષ સંઘવીની કથા એક સામાન્ય યુવાનની અસામાન્ય સફર છે. 8 જાન્યુઆરી, 1985૫ના રોજ સુરતમાં જન્મેલા હર્ષ રામેશભાઈ સંઘવીનું જીવન સમર્પણ, સેવા અને સંગ્રામથી ભરપૂર છે. ગુજરાતી વાણિયા પરિવારમાં જન્મ્યા હર્ષના પિતા રામેશભાઈ ભુરાલાલ સંઘવી એક સામાજિક કાર્યકર્તા અને હીરા વેપારી હતા, જેમણે તેમના પુત્રને સેવાના મૂલ્યો શીખવ્યા. માતા દેવેન્દ્રબેન સંઘવીના આશીર્વાદથી ઘેરાયેલા હર્ષે તેમના પિતાનું 2024માં અવસાન થયું પરંતુ તેમની વારસો આજે પણ તેમની કાર્યશૈલીમાં જોવા મળે છે. હર્ષની પત્ની પ્રાચી સંઘવી અને દીકરી નિર્વા તેમના જીવનનું સમર્થન છે, જે તેમને પારિવારિક જવાબદારીઓ વચ્ચે પણ રાજકારણમાં આગળ વધવાની શક્તિ આપે છે.

શિક્ષણ અને પ્રારંભિક જીવન 
સેવાના બીજું નામ હર્ષ, જેમનું શિક્ષણ નાનપણથી જ સામાજિક જવાબદારીથી જોડાયેલું હતું. તેઓએ સુરતની ટી એન્ડ ટીવી હાઈસ્કૂલમાંથી 9મા ધોરણ સુધીનું શિક્ષણ પૂરું કર્યું, જે 31 મે, 2001માં પૂર્ણ થયું. તેઓએ 8મા ધોરણ પછી શિક્ષણ છોડીને સામાજિક કાર્યમાં કુદી પડ્યા હતા. પરંતુ તેમનું વાસ્તવિક શિક્ષણ તો જીવનના અનુભવોમાંથી મળ્યું. ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં સેવા કરતા હતા. 15 વર્ષની ઉંમરથી જ તેઓએ સામાજિક કાર્ય શરૂ કર્યું, જેમાં સોંગઢ, ઉચ્છલ, વ્યારા અને તાપી જિલ્લાઓમાં સિકલ સેલ એનિમિયા જેવી બીમારીઓ સામે મેડિકલ કેમ્પો લગાવવાનો સમાવેશ થાય છે. આ કાર્યથી તેઓએ આદિવાસી સમુદાયને જોડાવા માટે પ્રયાસો કર્યા, જે તેમના રાજકીય જીવનનો આધાર બન્યો હતો. ત્યારે તો તેઓ સ્વપ્ને પણ વિચાર્યું નહીં હોય કે તેઓ રાજકારણમાં એક્કો સાબિત થશે.

રાજકીય સફર : યુવા મોરચાથી ધારાસભ્ય સુધી

હર્ષની રાજકીય પ્રવેશદ્વાર ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા (ભાજપ)થી થયો હતો. 15 વર્ષની ઉંમરે સામાજિક કાર્યકર્તા તરીકે શરૂઆત કરી હતી. તેઓએ ભાજપ સુરત જિલ્લા મહામંત્રી પછી પ્રદેશ મહામંત્રી અને 2017માં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જવાબદારી સંભાળી હતી. તેમની યુવા ઉર્જા અને સંગઠન કુશળતાએ તેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જેવા નેતાઓના વિશ્વાસુ બની ગયા હતા. 2014માં મોદીના વિદેશ પ્રવાસોમાં ભારતીય વસાહતોને જોડવાનું કાર્ય તેમણે કર્યું, જેમાં અમેરિકાના મેડિસન સ્ક્વેર ગાર્ડન પ્રોગ્રામની સફળતા તેમના નામે જોડાયેલી છે.

2012ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મજુરા બેઠકથી લડીને તેઓ 27 વર્ષની ઉંમરે ગુજરાતના સૌથી યુવા ધારાસભ્ય બન્યા હતા. તેમણે 82,000થી વધુ મતોના તફાવતથી જીત મેળવી હતી. જે રાજ્યમાં ચોથી સૌથી મોટી વિજય હતી. 2017માં તેઓએ આગળ વધીને 76.65% મતો મેળવીને સીટ જાળવી રાખી હતી. તો 2022માં આમ આદમી પાર્ટીના પીવીએસ શર્માને 1,16,675 મતોના તફાવતથી હરાવીને ત્રીજી વખત જીત્યા હતા. તેમની ચૂંટણી એફિડેવિટ અનુસાર તો તેઓ સુરતમાં એક હીરા વેપારી તરીકે જાણીતા છે.

જણાવી દઈએ કે, હર્ષ સંઘવીએ અનુરાગ ઠાકુર અને પંકજા મુંડે સાથે પણ કામ કર્યુ હતુ. જે સમયે વર્ષ 2014માં જ્યારે પીએમ મોદીએ વારાણસીથી ચૂંટણી લડી ત્યારે હર્ષ સંઘવીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. અને એજ સમયથી ચર્ચામાં આવેલ હર્ષ સંઘવી પીએમ મોદી અને અમિત શાહના પ્રિય બની ગયા હતા.

મંત્રી તરીકેનું કાર્યકાળ : ગૃહ રાજ્યમંત્રીથી નવી ઉડાન
સપ્ટેમ્બર 2021માં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં તેમને રાજ્ય ગૃહ, પોલીસ હાઉસિંગ, આપત્તિ વ્યવસ્થાપન, યુવા, સ્પોર્ટ્સ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, એનઆરઆઈ, એક્સાઈઝ, સરહદી સુરક્ષા અને જેલ જેવા 9 વિભાગોની જવાબદારી સોંપવામાં આવી હતી. 36 વર્ષની ઉંમરે ગુજરાતના સૌથી યુવા ગૃહ રાજ્યમંત્રી બનીને તેઓએ કાયદો અને વ્યવસ્થા, ડ્રગ્સ વિરુદ્ધના પ્રયાસો અને પોલીસ વેલ્ફેર પર ધ્યાન કેન્દ્રિત કર્યું. કોવિડ-19 મહામારી દરમિયાન તેમણે સુરતમાં 200 આઈસોલેશન વોર્ડ્સ સ્થાપિત કરીને દવાઓ અને ખોરાકની વહેંચણી કરીને સામાન્ય લોકોની જનસેવામાં કરવામાં જરા પણ કાચું કાપ્યું નહતું. જે કામે તેમની લોકપ્રિયતામાં વધારો કર્યો હતો. તેઓએ 'ક્લીન તાપી' અભિયાન ચલાવ્યું, જ્યાં તેઓએ પોતે ગંદકીમાં ઉતરીને નદી સફાઈ કરી. તેમના 28મા જન્મદિવસે 'તેરાપંથ ભવન' જોબ ફેર યોજીને યુવાનોને રોજગારી આપી અને વિકલાંગો માટે મોબાઈલ ફોન વિતરણ અને યુવા ઉદ્યોગસાહસિક સમિટ જેવા કાર્યો કર્યા. ગુજરાતમાં નાર્કોટિક્સ કંટ્રોલ પર તેમના પ્રયાસોને કારણે 2024માં કરોડો રૂપિયાના હેરોઈનની હેરાફેરી પકડી પાડી હતી.

આ સાથે જ હર્ષ સંઘવીની સક્રિયતાના કારણે ગુજરાતના દરિયા કિનારેથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડીને રાજ્યમાં આવતું અટકાવીને યુવાઓના જીવનને સુરક્ષિત કર્યા હતા.

નવા મંત્રીમંડળ વિસ્તરણ : નાયબ મુખ્યમંત્રી તરીકેની નવી જવાબદારી

17 ઓક્ટોબર, 2025ના રોજ ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણમાં હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી. ભાજપને ફાયદો આપવા માટે પસંદ કરવામાં આવ્યા છે. તેમની નિમણૂક ગાંધીનગરના મહાત્મા મંદિરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા શપથ ગ્રહણ સાથે થઈ જેમાં કેન્દ્રીય નેતાઓની હાજરી હતી. આ કદમથી ગુજરાતમાં યુવા નેતૃત્વને પ્રોત્સાહન મળશે અને હર્ષ સંઘવીને ભવિષ્યમાં મુખ્યમંત્રી કે કેન્દ્રીય મંત્રી તરીકેની તકો મળી શકે છે.

મિલકત અને આર્થિક સ્થિતિ : પારદર્શિતા સાથે વિકાસ

હર્ષ સંઘવીની આર્થિક સ્થિતિ તેમના હીરા વેપારથી જોડાયેલી છે. 2022ની ચૂંટણી એફિડેવિટ અનુસાર, તેમના અને તેમની પત્નીની કુલ મિલકત 17.42 કરોડ રૂપિયા છે, જેમાં 12.3 કરોડ મુવેબલ અને 5.1 કરોડ ઇમુવેબલ છે. તેમની પત્નીના શેરમાં 10.51 કરોડનું રોકાણ છે. 2017થી 2022 સુધી તેમની મિલકતમાં 721% વધારો થયો, જે 2.12 કરોડથી વધીને 17.42 કરોડ થયો. આ વધારો તેમના વ્યવસાયિક વિસ્તરણને કારણે છે, પરંતુ તેઓ પારદર્શિતા જાળવે છે. 2012ની એફિડેવિટમાં તેમની મિલકત 2.12 કરોડ હતી, જે દર્શાવે છે કે તેમનો વિકાસ સ્થિર છે.

વિવાદો અને પડકારો : કડક નેતૃત્વની કિંમત

હર્ષની કડક નીતિઓને કારણે કેટલાક વિવાદો પણ થયા. 2024માં સુરતના રંદેર વિસ્તારને 'મિની-પાકિસ્તાન' કહીને તેમણે ગણેશ વિસર્જન પર હુમલાના આરોપીઓની ધરપકડ અને મકાન તોડવાની જાહેરાત કરી, જેની મુસ્લિમ સમુદાયે ટીકા કરી હતી. તેમને 'અમિત શાહના ઉત્તરાધિકારી' તરીકે ઓળખવામાં આવે છે, અને તેમની પોલીસ પર આધારિત કાર્યવાહીને વધુ પડતી કડકતા તરીકે જોવામાં આવે છે. તેમના પર અત્યાર સુધીમાં 3 ક્રિમિનલ કેસો નોંધાયેલા છે, જેમાં મોટા આરોપો નથી. જોકે, તેમના સમર્થકો આને રાજકારણીઓ પરના રુટીન કેસો તરીકે જુએ છે.

હર્ષ સંઘવી યુવા પ્રેરણારૂપ

હર્ષની મુખ્ય પ્રાપ્તિઓમાં ગુજરાતમાં કોઈ મોટા સાંપ્રદાયિક ગંડગોળ ન હોવું, ડ્રગ્સ વિરુદ્ધના અભિયાનો અને યુવા સશક્તિકરણનો સમાવેશ થાય છે. તેઓએ બુક બેંક્સ સ્થાપિત કરીને ગરીબ વિદ્યાર્થીઓને પુસ્તકો આપ્યા અને ટ્રાફિક ફાઈન વેવર જેવી લોકપ્રિય યોજનાઓ લાગુ કરી હતી. તેમનું નેતૃત્વ 'મોદીના યુવા રક્ષક' તરીકે ઓળખાય છે, જે વંશવાદને અટકાવીને યુવા નેતૃત્વને પ્રોત્સાહન આપે છે.

હર્ષ સંઘવીની સફર દર્શાવે છે કે સમર્પણ અને સેવાથી કોઈ પણ સ્તર પર પહોંચી શકાય છે. નાયબ મુખ્યમંત્રી તરીકે તેમનું નવું પડકાર ગુજરાતને વધુ મજબૂત બનાવશે અને તેમની સ્ટોરી યુવા પેઢી માટે પ્રેરણા રહેશે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.