રાજુલા હાઈવે પર સિંહબાળનું મોત: રાજસ્થાનની કારના ચાલકની અટકાયત



રાજુલા હાઈવે પર સિંહબાળનું મોત: રાજસ્થાનની કારના ચાલકની અટકાયત



Lion Cub Accident Rajula: સિંહોના ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં ફરી એકવાર સિંહના અકસ્માતે મોતની ઘટના સામે આવી છે. ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલાના દાંતરડી ગામ નજીક અજાણ્યા વાહનની ટક્કરે એક વર્ષના સિંહબાળનું મોત થયું હતું. માહિતી મુજબ, સિંહબાળ રાત્રિના સમયે નેશનલ હાઈવે ક્રોસ કરી રહ્યું હતું ત્યારે અજાણ્યા વાહને તેને હડફેટે લીધું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે સિંહબાળનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં જ વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃત સિંહબાળને પોસ્ટમોર્ટમ માટે બાબરકોટ એનિમલ કેર રેસ્ક્યૂ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યું હતું. વનવિભાગે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ચાર અલગ અલગ ટીમો બનાવી CCTV કેમેરાની તપાસ શરૂ કરી હતી. ગણતરીના કલાકોમાં બ્લેક કલરની સ્વિફ્ટ કાર નંબર GJ 27 EG 8618ને ટ્રેસ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કાર ચાલક ઇન્દ્રસિંહ છત્રસિંહ રાવત રાજસ્થાનનો રહેવાસી છે. વનવિભાગે તેને નોટિસ પાઠવી રાજુલા કચેરી ખાતે બોલાવ્યો હતો અને કાર કબ્જે લઈને તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વનવિભાગના ACF વિરલસિંહ ચાવડાએ સમગ્ર ઘટનાની પુષ્ટિ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે મહિનામાં આ જ ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર બે સિંહોના અકસ્માતમાં મોત થયા હતા. હવે ફરી સિંહબાળના મોત બાદ સિંહોની સુરક્ષા અને હાઈવે પર વાહનોની ગતિ નિયંત્રણ અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે. વન્યજીવ પ્રેમીઓ અને સ્થાનિકોમાં પણ આ ઘટનાને લઈને ચિંતા જોવા મળી રહી છે. નિષ્ણાતોના મતે, ગીર અને આસપાસના વિસ્તારોમાં સિંહોની વધતી અવરજવર વચ્ચે હાઈવે પર ખાસ સુરક્ષા વ્યવસ્થા જરૂરી બની છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



