કરોડોનું કામ... અને ફરી ખોદકામ! જામનગરના વોર્ડ-2માં વિકાસ કે વહીવટી બેદરકારી?



કરોડોનું કામ... અને ફરી ખોદકામ! જામનગરના વોર્ડ-2માં વિકાસ કે વહીવટી બેદરકારી?



Jamnagar Ward 2 Beautification Controversy: શહેરના વોર્ડ નંબર-2 વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા બ્યુટિફિકેશન પ્રોજેક્ટને લઈને હવે ગંભીર વિવાદ ઊભો થયો છે. આશ્ચર્યની વાત એ છે કે હજુ સુધી આ પ્રોજેક્ટનું સત્તાવાર લોકાર્પણ પણ થયું નથી અને ત્યાં ફરી JCB દ્વારા ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે. જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થળ પર ચાલી રહેલા ખોદકામને લઈને હવે વિકાસના નામે થયેલા ખર્ચ અને આયોજન અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો રસ્તાની નીચે ભૂગર્ભ ગટર લાઇન, પાણીની પાઇપલાઇન, વીજ કેબલ અથવા અન્ય સુવિધાઓ હતી, તો કામ શરૂ કરતાં પહેલાં યોગ્ય સર્વેક્ષણ અને આયોજન કેમ કરવામાં આવ્યું નહીં?

વિકાસના નામે જાહેર નાણાંનો બગાડ?
વોર્ડ નંબર-2ના સામાજિક આગેવાન હનીફ હસન મલેકે સમગ્ર મામલે મનપા તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે યોગ્ય આયોજન વિના વિકાસકામો હાથ ધરવામાં આવે છે અને બાદમાં ફરી ખોદકામ કરીને જાહેર નાણાંનો બેફામ બગાડ કરવામાં આવે છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને બનાવેલા કામને લોકાર્પણ પહેલાં જ તોડવાની ફરજ કેમ પડી? શું આ પાછળ વહીવટી બેદરકારી છે કે પછી ભ્રષ્ટાચાર?
ઉચ્ચસ્તરીય તપાસની માંગ
આ સમગ્ર ઘટનાને લઈને હવે સ્થાનિક નાગરિકો પણ તંત્ર સામે સવાલો ઉઠાવી રહ્યા છે. લોકોની માંગ છે કે સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ અને ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે તેમજ જો કોઈ ગેરરીતિ કે બેદરકારી સામે આવે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. વિકાસના દાવાઓ વચ્ચે જામનગરના વોર્ડ નંબર-2માં સર્જાયેલી આ પરિસ્થિતિ હવે રાજકીય અને સામાજિક ચર્ચાનો વિષય બની છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



