Get News Alerts

Never miss breaking news updates.

ખાખીમાં ધબકતું હૃદય: મહિલાને જામીન મળ્યા પછી પણ લેવા કોઈ ન આવ્યું, તો ‘ગુજરાત પોલીસ’ બની પરિવાર

ઘણી વખત પોલીસની કામગીરી કાયદો અને વ્યવસ્થા જાળવવા પૂરતી મર્યાદિત માનવામાં આવે છે, પરંતુ નડિયાદ જિલ્લા જેલ અને ગુજરાત પોલીસે માનવતાનું એવું ઉદાહરણ પૂરું પાડ્યું છે, જે સૌને ભાવુક કરી દે તેવું છે. જામીન મળ્યા બાદ પણ લેવા કોઈ ન આવતા મધ્યપ્રદેશની એક મહિલા આરોપીને તેના નવજાત બાળક અને બે વર્ષના બાળક સાથે સુરક્ષિત રીતે વતન પહોંચાડીને ગુજરાત પોલીસે ખાખીમાં ધબકતા હૃદયનો પરિચય કરાવ્યો છે.
R Gajjar
R GajjarUpdated on: 30 May 2026 12:17 PM IST
ખાખીમાં ધબકતું હૃદય: મહિલાને જામીન મળ્યા પછી પણ લેવા કોઈ ન આવ્યું, તો ‘ગુજરાત પોલીસ’ બની પરિવારખાખીમાં ધબકતું હૃદય: મહિલાને જામીન મળ્યા પછી પણ લેવા કોઈ ન આવ્યું, તો ‘ગુજરાત પોલીસ’ બની પરિવાર

AI Generated Images

અમદાવાદ/નડિયાદ:  વહીવટીતંત્ર જ્યારે માનવીય સંવેદનાને ઉજાગર કરે છે ત્યારે ભલભલાની આંખો ભીંજાઇ જાય છે. આવી જ ઘટના નડીયાદ જિલ્લા જેલમાં બની છે. જેલમાં રહેલી એક શ્રમિક પરિવારની મહિલા આરોપીએ બાળકને જન્મ આપ્યો ત્યારે તેને તેણીના પરિવારમાંથી કોઈ લેવા આવ્યું નહીં. આ સમયે ગુજરાત પોલીસ તેની વાલી બની અને ખાખીમાં ધબકતા હૃદયનો પરિચય કરાવ્યો ને એક પરિવારની ભૂમિકા ભજવીને ગુજરાત પોલીસ છેક મધ્યપ્રદેશ મૂકવા ગઈ. થોડા દિવસો પહેલા આણંદ જિલ્લાનાં ખંભાત ખાતે પ્રિવેન્સન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુયલ ઓફેન્સિસ (POCSO) એક્ટ, 2012, હેઠળ એક ગુન્હો નોંધાયો હતો. આ ગુન્હામાં એક સહ-આરોપી સગર્ભા મહિલા નડિયાદ જિલ્લામાં જેલમાં બે વર્ષનાં એક બાળક સાથે આવી હતી.  

આ મહિલાનાં દિયરે સગીર વયની છોકરીને ભગાડી જતા આ મહિલાનાં પતિ અને દિયર સામે ગુન્હો નોંધાયો હતો. આ મહિલા તેમાં સહ-આરોપી હતી. મુળ મધ્યપ્રદેશનાં અલીરાજપુર જિલ્લાનો વતની આ પરિવાર સ્થળાંતર કરી મજુરી માટે આણંદ જિલ્લામાં આવ્યો હતો. 

નડિયાદ જિલ્લા જેલમાં જ્યારે આ મહિલા આવી ત્યારે તે સગર્ભા હતી. 21 મેનાં રોજ આ મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા સૌ પ્રથમ તેને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી અને ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તેણે પુત્રને જન્મ આપ્યો. સારવાર પુરી થયા પછી આ મહિલા કેદીને તેના નવજાત શિશુ સાથે પાછી નડિયાદ જિલ્લા જેલમાં લઇ આવવામાં આવી. આ મહિલા કેદી (કાચા કામના કેદી) હવે બે વર્ષનાં બાળક અને ચાર દિવસનાં નવજાત શિશુ સાથે જેલમાં રહેતી હતી. 

“આ મહિલાને સ્થાનિક અદાલતમાંથી જામીન તો મળી ગયા હતા પણ તેને મુક્ત કરાવવા માટે તેના સગા-સંબધીઓમાંથી કોઇ આવ્યું નહીં. પતિ અને દિયર જેલમાં હતા. પરિવાર અત્યંત ગરીબ હતો.  સ્થળાતંરિત અને ગરીબ મહિલાને વ્હારે કોણ આવે?  જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (આણંદ) અને નડિયાદ જિલ્લા જેલનાં અધિકારીઓ આ ગરીબ અને સ્થળાંતરીંત મજુર (માઇગ્રન્ટ) મહિલાની વ્હારે આવ્યાં. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળે આ મહિલા આરોપીની કાનૂની મદદ કરી અને નડિયાદ જિલ્લા જેલનાં અધિકારીઓને આ મહિલાની આરોગ્યની સ્થિતિને ધ્યાનમાં રાખી તેના વતન મધ્યપ્રદેશ સુધી પહોંચાડવા કહ્યું. 

ગુજરાત પોલીસ વડા ડો. કે.એલ.એન રાવનાં માર્ગદર્શનમાં નડિયાદ જિલ્લા જેલ પોલીસે સ્થાનિક સેવાભાવી સંસ્થાની મદદથી આ મહિલા માટે એક વાહનની વ્યવસ્થા કરી. આ વાહન સાથે બે કોન્સ્ટેબલને પણ મોકલ્યા. મધ્યપ્રદેશનાં અલીરાજપુર જિલ્લામાં સ્થાનિક પોલીસ સ્ટેશને જઇ આ મહિલાની સ્થિતિ જણાવી અને તેના પરિવાર સાથે તેનું પુન:મિલન કરાવ્યું. નવજાત શિશુ અને બે વર્ષનાં બાળક સાથે તેના વતનમાં પહોંચતા મહિલા આરોપી ભાવવિભોર થઇ ગઇ હતી અને ગુજરાતનાં સંવેદનશીલ વહીવટીતંત્ર અને ખાસ કરીને ગુજરાત પોલીસનો આભાર માન્યો હતો.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com