અમદાવાદના ઈસનપુરમાં મેગા ડિમોલિશન, 160 મકાનો તોડીને ખુલ્લી કરાશે 26 હજાર ચોરસ મીટર જગ્યા



AI Generated Images
અમદાવાદના ઈસનપુરમાં મેગા ડિમોલિશન, 160 મકાનો તોડીને ખુલ્લી કરાશે 26 હજાર ચોરસ મીટર જગ્યા



AI Generated Images
અમદાવાદઃ અમદાવાદ શહેરમાં ગેરકાયદે દબાણો સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશને ઈસનપુર વિસ્તારમાં આવેલા આંબા તળાવ આસપાસના દબાણો દૂર કરવાની મોટી કાર્યવાહી હાથ ધરી છે. તંત્ર દ્વારા વર્ષોથી વસવાટ કરતા પરિવારોને અગાઉથી નોટિસ આપી સ્થળ ખાલી કરવાની સૂચના આપવામાં આવી હતી. નિર્ધારિત સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ જગ્યા ખાલી ન થતાં આજે ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

માહિતી મુજબ, મોની હોટેલ નજીક આવેલા શાકમાર્કેટ વિસ્તારમાં આંબા તળાવની જમીન પર 160થી વધુ કાચા અને પાકા મકાનોનું નિર્માણ થયું હતું. આ કાર્યવાહી દ્વારા અંદાજે 26 હજાર ચોરસ મીટર જેટલી જાહેર જમીન દબાણમુક્ત કરવામાં આવશે. ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઈસનપુર અને નારોલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઉપરાંત ફાયર બ્રિગેડ અને મેડિકલ ટીમોને પણ સ્થળ પર તૈનાત રાખવામાં આવી હતી. શહેરના જળાશયોને પુનઃસ્થાપિત કરવા, તેમની મૂળ ક્ષમતા જાળવી રાખવા અને વરસાદી પાણીના સંગ્રહને પ્રોત્સાહન આપવા માટે તંત્ર દ્વારા આ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

સાથે જ અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે માનવતાવાદી અભિગમ અપનાવતા તંત્રએ તાત્કાલિક ધોરણે નજીકના રેન બસેરામાં રહેવા અને જમવાની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. વર્ષોથી વસવાટ કરતા હોવાના માન્ય સરકારી દસ્તાવેજો ધરાવતા પરિવારો પાસેથી જરૂરી ફોર્મ ભરાવવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. ચકાસણી પૂર્ણ થયા બાદ પાત્ર લાભાર્થીઓને સરકારી યોજનાઓ હેઠળ વૈકલ્પિક આવાસ ફાળવવા અંગે કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ચંડોળા તળાવથી શરૂ થયેલી દબાણ હટાવ ઝુંબેશ હવે શહેરના અન્ય વિસ્તારો સુધી વિસ્તરી રહી છે. અગાઉ સરદારનગરના કમલ તળાવ અને ઈસનપુર તળાવ આસપાસ પણ તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરના જળાશયોનું સંરક્ષણ અને સુવ્યવસ્થિત શહેરી વિકાસ માટે આવી ઝુંબેશ આગામી સમયમાં પણ યથાવત્ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



