લખનઉ અગ્નિકાંડ બાદ ગુજરાત એલર્ટ: અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફ્ટી ચેકિંગ તેજ, તક્ષશિલા અને ટીઆરપી કાંડની યાદ ફરી તાજી



લખનઉ અગ્નિકાંડ બાદ ગુજરાત એલર્ટ: અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફ્ટી ચેકિંગ તેજ, તક્ષશિલા અને ટીઆરપી કાંડની યાદ ફરી તાજી



ઉત્તર પ્રદેશના લખનઉમાં એક શૈક્ષણિક સંસ્થામાં લાગેલી ભીષણ આગમાં આશરે 15 બાળકોના મોત થયા હોવાની ઘટના બાદ સમગ્ર દેશમાં ફાયર સેફ્ટીને લઈને ચિંતા વધી છે. આ દુર્ઘટનાના પગલે ગુજરાતમાં પણ ફાયર વિભાગ એલર્ટ મોડમાં આવી ગયો છે અને શાળાઓ, કોચિંગ ક્લાસીસ તેમજ જાહેર સ્થળોએ સઘન ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલી આનંદનિકેતન સ્કૂલ ખાતે ફાયર વિભાગની ટીમે નિરીક્ષણ હાથ ધરી ફાયર સેફ્ટીના નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં તેની તપાસ કરી હતી. ચકાસણી દરમિયાન કેટલાક વિસ્તારોમાં સ્મોક ડિટેક્શન સિસ્ટમ અને અન્ય સુરક્ષા વ્યવસ્થાઓમાં સુધારાની જરૂરિયાત જણાતા સ્કૂલ સંચાલકોને જરૂરી એડવાઈઝરી આપવામાં આવી હતી. ફાયર અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે વિદ્યાર્થીઓની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને તમામ શૈક્ષણિક સંસ્થાઓએ ફાયર સેફ્ટીના નિયમોનું કડક પાલન કરવું જરૂરી છે.
જોકે આ કાર્યવાહી વચ્ચે એક મહત્વનો સવાલ પણ ચર્ચામાં આવ્યો છે. શું ફાયર સેફ્ટીની તપાસ માત્ર મોટી દુર્ઘટના બાદ જ કરવામાં આવશે? ગુજરાતે પણ ભૂતકાળમાં બે મોટા અગ્નિકાંડનો દુઃખદ અનુભવ કર્યો છે. વર્ષ 2019માં બનેલી સુરત તક્ષશિલા અગ્નિકાંડ ઘટનામાં કોચિંગ સેન્ટરમાં લાગેલી આગમાં અનેક વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા હતા. તે જ રીતે 2024માં બનેલી રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ ઘટનાએ પણ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું, જેમાં અનેક લોકોના મોત થયા હતા.
આ બંને દુર્ઘટનાઓ બાદ તંત્ર દ્વારા રાજ્યભરમાં ચેકિંગ અભિયાન, ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી અને ફાયર સેફ્ટીના નિયમોના અમલની ખાતરી આપવાની જાહેરાતો કરવામાં આવી હતી. પરંતુ સમય જતાં આ અભિયાનોની અસર ઓછી થતી હોવાના આક્ષેપો સતત ઉઠતા રહ્યા છે.
નિષ્ણાતોના મતે લખનઉની તાજેતરની ઘટના, સુરત તક્ષશિલા કાંડ અને રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ એક જ સંદેશ આપે છે કે ફાયર સેફ્ટી કોઈ એક દિવસનું અભિયાન નથી. શાળાઓ, હોસ્પિટલો, મોલ, ગેમ ઝોન અને અન્ય જાહેર સ્થળોએ નિયમિત ફાયર ઓડિટ, સમયાંતરે ચકાસણી અને કડક અમલ જરૂરી છે. કારણ કે આગ લાગ્યા બાદ બચાવ કામગીરી મહત્વની હોય છે, પરંતુ આગ લાગતા પહેલાં લેવાયેલી સાવચેતી જ સૌથી મોટી સુરક્ષા સાબિત થાય છે. હવે જોવાનું એ રહેશે કે ગુજરાતમાં શરૂ થયેલું આ અભિયાન થોડા દિવસ પૂરતું મર્યાદિત રહે છે કે પછી કાયમી સુરક્ષા વ્યવસ્થામાં પરિવર્તિત થાય છે.




