ગાંધીનગરમાં PM eBus સેવાનો પ્રારંભ, પ્રથમ તબક્કામાં 40 એસી ઇ-બસો 18 રૂટ પર દોડશે



ગાંધીનગરમાં PM eBus સેવાનો પ્રારંભ, પ્રથમ તબક્કામાં 40 એસી ઇ-બસો 18 રૂટ પર દોડશે



ગાંધીનગર: કેન્દ્ર સરકારની મહત્ત્વાકાંક્ષી PM eBus Sewa યોજના હેઠળ ગાંધીનગરમાં પ્રદૂષણમુક્ત અને આધુનિક જાહેર પરિવહનની નવી શરૂઆત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દેશભરમાં રૂ. 57,613 કરોડના બજેટ સાથે અમલમાં મુકાયેલી આ યોજના હેઠળ ગાંધીનગરને કુલ 100 ઇ-બસોની ફાળવણી કરવામાં આવી છે.

પ્રથમ તબક્કામાં 40 એરકન્ડિશન્ડ (એસી) ઇ-બસો શહેરના 18 અલગ-અલગ રૂટ પર દોડશે. આ નવી બસ સેવા દ્વારા નાગરિકોને આરામદાયક, સુરક્ષિત અને પર્યાવરણમૈત્રી પરિવહનની સુવિધા ઉપલબ્ધ થશે.
યોજનાના સફળ સંચાલન માટે રૂ. 17 કરોડના ખર્ચે અત્યાધુનિક બસ ડેપો, આધુનિક ચાર્જિંગ સ્ટેશનો તેમજ ઓપરેશનલ કંટ્રોલ સિસ્ટમ જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે, જેથી બસ સેવાનું સંચાલન વધુ કાર્યક્ષમ બની શકે.

નવી ઇ-બસોમાં દિવ્યાંગ મુસાફરો માટે હાઇડ્રોલિક રેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો માટે અનામત બેઠકો ઉપલબ્ધ છે. મુસાફરોને કેશલેસ મુસાફરીની સુવિધા આપવા માટે દરેક બસમાં ઇલેક્ટ્રોનિક ટિકિટિંગ મશીન (ETM) પણ લગાવવામાં આવ્યું છે.
રાજ્ય સરકારના જણાવ્યા મુજબ આ યોજના ગાંધીનગરમાં ગ્રીન અને સ્માર્ટ પરિવહન વ્યવસ્થાને વધુ વેગ આપશે તેમજ પ્રદૂષણ ઘટાડવામાં પણ મહત્વપૂર્ણ સાબિત થશે.




