ગાંધીનગરમાં 'PM eBus Sewa'ને નાગરિકોનો ભવ્ય પ્રતિસાદ, બપોર સુધીમાં 3500 મુસાફરોએ લાભ લીધો



ગાંધીનગરમાં 'PM eBus Sewa'ને નાગરિકોનો ભવ્ય પ્રતિસાદ, બપોર સુધીમાં 3500 મુસાફરોએ લાભ લીધો



Gandhinagar PM EBus Sewa: ગાંધીનગર શહેરમાં ભારત સરકારની મહત્ત્વાકાંક્ષી 'પીએમ ઈ-બસ સેવા' (PM eBus Sewa) યોજના અંતર્ગત શરૂ કરવામાં આવેલી આધુનિક અને પર્યાવરણમૈત્રી ઇલેક્ટ્રિક બસ સેવાને નાગરિકો તરફથી ભવ્ય પ્રતિસાદ સાંપડી રહ્યો છે. ગઈકાલે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે સંપૂર્ણ એર-કન્ડિશન્ડ ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી આપીને શહેરના જાહેર પરિવહન ક્ષેત્રે એક નવા યુગનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આ યોજનાના પ્રથમ તબક્કામાં કુલ 40 અત્યાધુનિક ઇલેક્ટ્રિક બસોને શહેર તથા આસપાસના વિસ્તારોને જોડતા વિવિધ રૂટ પર સફળતાપૂર્વક કાર્યરત કરવામાં આવી છે.
આ નવી ઇલેક્ટ્રિક બસોમાં મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને અનેક આધુનિક વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. બસમાં એર કન્ડિશનિંગની સાથે દિવ્યાંગજનોની સરળતા માટે ખાસ રેમ્પ, તેમજ મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો માટે અનામત બેઠકોની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત, ડિજિટલ ઇન્ડિયાના વિઝનને અનુરૂપ બસોમાં ડિજિટલ ટિકિટિંગ પ્રણાલી અમલમાં મૂકવામાં આવી છે, જેમાં ક્યુઆર કોડ (QR Code) અને યુપીઆઈ (UPI) મારફતે કેશલેસ ચુકવણી કરી શકાય છે.
નવી ઇ-બસ સેવાનો વધુમાં વધુ નાગરિકો અનુભવ કરી શકે અને જાહેર પરિવહનનો વ્યાપ વધે તે હેતુથી મહાનગરપાલિકા દ્વારા આગામી તારીખ 12 જુલાઈ સુધી તમામ મુસાફરો માટે આ બસમાં મુસાફરી સંપૂર્ણ નિઃશુલ્ક રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
મહાનગરપાલિકાની આ નિઃશુલ્ક મુસાફરીની પહેલને આવકારીને શહેરવાસીઓએ નવી પરિવહન વ્યવસ્થાને ભારે ઉત્સાહથી અપનાવી છે, જેના પરિણામ સ્વરૂપ આજે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં જ આશરે 3500 મુસાફરોએ આ આરામદાયક ઇ-બસ સેવાનો લાભ લીધો હતો. મોટી સંખ્યામાં નોંધાયેલી આ મુસાફરી દર્શાવે છે કે, નાગરિકોમાં આધુનિક જાહેર પરિવહન વ્યવસ્થા પ્રત્યે અનેરો ઉત્સાહ છે.
આ યોજના થકી ઇલેક્ટ્રિક બસોના ઉપયોગથી વાયુ પ્રદૂષણ અને કાર્બન ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો થશે. ગાંધીનગરને સ્વચ્છ અને હરિત શહેર બનાવવાના આ સામુહિક પ્રયાસમાં આગામી દિવસોમાં પણ વધુને વધુ નાગરિકો આ પર્યાવરણમૈત્રી ઇ-બસ સેવાનો મહત્તમ લાભ લે અને જાહેર પરિવહનને અગ્રતા આપે તેવી અપીલ કરવામાં આવે છે.




