અડાલજ-ઝુંડાલ નર્મદા કેનાલ પાંચ મિત્રો કૂદ્યા, બેના મોત, એક લાપતા; બેનો બચાવ



અડાલજ-ઝુંડાલ નર્મદા કેનાલ પાંચ મિત્રો કૂદ્યા, બેના મોત, એક લાપતા; બેનો બચાવ



Gandhinagar News: ગાંધીનગરના અડાલજ-ઝૂંડાલ નર્મદા કેનાલમાં મધરાતે હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ હતી. પાર્ટી પૂર્ણ કર્યા બાદ પાંચ મિત્રો નર્મદા કેનાલ પર પહોંચ્યા હતા. તરવાની આવડતને લઈને થયેલી ચર્ચા દરમિયાન એક યુવકે કેનાલમાં છલાંગ લગાવી હતી.
યુવક પાણીમાં ડૂબવા લાગતાં તેને બચાવવા અન્ય ચાર મિત્રો પણ એકપછી એક કેનાલમાં કૂદી પડ્યા હતા. જો કે, કેનાલના ધસમસતા પ્રવાહમાં પાંચેય મિત્રો સપડાઈ ગયા હતા. તેમાં બે મિત્રો જેમતેમ કરીને કિનારે પહોંચવામાં સફળ રહ્યા હતા.
આ દુર્ઘટનામાં હર્ષ પ્રજાપતિ (21), કૌશિક ઠાકોર (20) અને અર્પિત પટેલ પાણીમાં ગરકાવ થયા હતા. બાદમાં હર્ષ પ્રજાપતિનો મૃતદેહ જમીયતપુરા કેનાલમાંથી અને કૌશિક ઠાકોરનો મૃતદેહ ખોરજ કેનાલમાંથી મળી આવ્યો હતો. જ્યારે અર્પિત પટેલની શોધખોળ ફાયર બ્રિગેડ અને સ્થાનિક તંત્ર દ્વારા સતત ચાલુ રાખવામાં આવી રહી છે.
આ ઘટનાની જાણ થતાં અડાલજ પોલીસ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક તંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યું હતું અને બચાવ કામગીરી હાથ ધરી હતી. અડાલજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં યુવકો તરવાની આવડતના અતિ વિશ્વાસને કારણે કેનાલમાં ઉતર્યા હોવાનું સામે આવ્યું છે.
આ કરૂણ ઘટનાને પગલે અડાલજ અને ગોતા વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. સ્થાનિક તંત્રએ લોકોને નર્મદા કેનાલ જેવા ઊંડા અને ધસમસતા પ્રવાહવાળા વિસ્તારોમાં ન જવા તથા સુરક્ષા નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે.




