દાત્રાણા ગામે તળાવમાં ડૂબી જતા બે માસૂમોના મોત, એક બાળકીની હાલત ગંભીર



દાત્રાણા ગામે તળાવમાં ડૂબી જતા બે માસૂમોના મોત, એક બાળકીની હાલત ગંભીર



ખંભાળિયાઃ તાલુકાના દાત્રાણા ગામમાં દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં ખેત મજૂરી કરતા શ્રમિક પરિવારના ત્રણ નાના બાળકો તળાવમાં ડૂબી ગયા હતા. આ બનાવમાં બે માસૂમ બાળકોના કરુણ મોત થયા છે, જ્યારે એક બાળકીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, દાત્રાણા ગામના ખારાવાળી વિસ્તારમાં આવેલા તળાવ પાસે બાળકો રમતા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. બાળકોના માતા-પિતા ખેત મજૂરીમાં વ્યસ્ત હતા, તે દરમિયાન રમતા-રમતા ત્રણેય બાળકો અચાનક તળાવમાં ખાબક્યા હતા.
આ ઘટનામાં 7 વર્ષીય બાળકી અને 4 વર્ષીય બાળકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે દોઢ વર્ષની બાળકી ગંભીર રીતે ઘાયલ થતાં તેને તાત્કાલિક સારવાર માટે જામનગર ખાતે રિફર કરવામાં આવી છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનાની જાણ થતાં ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. સમગ્ર વિસ્તારમાં દુઃખનું મોજું ફરી વળ્યું છે અને ગામજનો દ્વારા પરિવારને સાંત્વના આપવામાં આવી રહી છે. પ્રશાસન દ્વારા પણ ઘટનાની નોંધ લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




