વનકર્મી પર હુમલા કેસમાં MLA ચૈતર વસાવાને 7 વર્ષની સજા



વનકર્મી પર હુમલા કેસમાં MLA ચૈતર વસાવાને 7 વર્ષની સજા



ગાંધીનગર આમ આદમી પાર્ટી (AAP)ના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને રાજપીપળા સેશન્સ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. વન વિભાગના કર્મચારી સાથે થયેલી મારામારી અને ધમકીના કેસમાં કોર્ટે ચૈતર વસાવાને દોષિત જાહેર કર્યા છે. આ ચુકાદા બાદ રાજ્યના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે.
પત્ની સહિત 9 આરોપીઓને દોષિત જાહેર કરાયા
નર્મદા સેશન્સ કોર્ટે માત્ર ચૈતર વસાવા જ નહીં પરંતુ તેમના પત્ની સહિત કુલ 9 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. લાંબી કાનૂની પ્રક્રિયા બાદ આવેલા આ મહત્વપૂર્ણ ચુકાદા પર હવે સૌની નજર આગામી સજાની જાહેરાત પર કેન્દ્રિત થઈ છે.
શું હતો સમગ્ર વિવાદ?
મળતી માહિતી અનુસાર, જંગલ વિસ્તારમાં ખેડૂતો દ્વારા કરવામાં આવેલા કથિત દબાણને લઈને આ સમગ્ર વિવાદ શરૂ થયો હતો. વન વિભાગે પોતાની જમીન પર ખેતી થતી હોવાનો દાવો કરીને કાર્યવાહી હાથ ધરી હતી અને પાક દૂર કર્યો હતો. આ ઘટનાને લઈને વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો.
વનકર્મીઓ સાથે બોલાચાલી અને મારામારીનો આરોપ
નવેમ્બર 2023માં નોંધાયેલી ફરિયાદ મુજબ, ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીઓને પોતાના નિવાસસ્થાને બોલાવ્યા હતા. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ત્યાં વનકર્મીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરવામાં આવી હતી અને તેમની સાથે મારામારી પણ કરવામાં આવી હતી. ઉપરાંત ખેડૂતોને પાકના નાણાં ચૂકવવા દબાણ કરવામાં આવ્યું હોવાના તેમજ જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હોવાના આરોપો પણ મૂકવામાં આવ્યા હતા.
સજા પર સૌની નજર
કોર્ટ દ્વારા દોષિત જાહેર કરાયા બાદ હવે આગામી તબક્કામાં સજાની જાહેરાત થવાની છે. કોર્ટ કેટલા સમયની સજા ફટકારે છે તેના આધારે ચૈતર વસાવાના રાજકીય ભવિષ્ય અને ધારાસભ્ય પદ પર શું અસર પડશે તે સ્પષ્ટ થશે. હાલ આ કેસ રાજ્યના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે.




