વનમંત્રી અર્જુન મોઢવાડિયા માસૂમ જીયાનના મોત બાદ ચતુરી ગામની મુલાકાતે, ગ્રામજનોએ આક્રોશ ઠાલવ્યો



વનમંત્રી અર્જુન મોઢવાડિયા માસૂમ જીયાનના મોત બાદ ચતુરી ગામની મુલાકાતે, ગ્રામજનોએ આક્રોશ ઠાલવ્યો



Amreli News: અમરેલીના ખાંભાના ચતુરી ગામે સિંહના હુમલામાં માસૂમ જીયાનના મોતના મામલે વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ ગામની મુલાકાત લીધી હતી. વનમંત્રીએ ધારાસભ્ય જે.વી. કાકડીયા અને પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર સાથે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને પીડિત પરિવારને સાંત્વના પાઠવી હતી. આ દરમિયાન ગ્રામજનોનો આક્રોશ જોવા મળ્યો હતો.
ચતુરી ગામની બજારો આંસુ અને આક્રોશથી ભરેલી જોવા મળી હતી. જે સ્થળે માસૂમ જીયાનને સિંહે શિકાર બનાવ્યો હતો, તે ઘટનાસ્થળનું વનમંત્રીએ જાતે નિરીક્ષણ કર્યું હતું. આ સમયે વન વિભાગના વડા જયપાલ સિંહ, સીએફ, ડીસીએફ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ચતુરી ગામે દોડી આવ્યા હતા. ગ્રામજનોએ વનમંત્રી સમક્ષ લેખિતમાં રજૂઆત કરી હતી અને રેવન્યુ વિસ્તારમાંથી સિંહ-દીપડાઓને તાત્કાલિક જંગલમાં ખસેડવા માટે ખાસ ઓપરેશન ચલાવવાની માગ કરી હતી. વન વિભાગના નબળા વર્તન સામે પણ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
માલધારીઓએ વનમંત્રી સમક્ષ ઉગ્ર પણ શાંતિપૂર્ણ રજૂઆતો કરતા માગ કરી છે કે, ગીર જંગલમાં પશુઓ ચરાવવા માટે તેમને મંજૂરી આપવામાં આવે. આ સાથે જ વન વગડામાં જતા ખેડૂતો અને માલધારીઓને રક્ષા માટે લાકડી કે કુહાડી જેવા હથિયારો રાખવાની છૂટ મળે. ગ્રામજનોની આ પીડા અને રજૂઆતો સાંભળ્યા બાદ વનમંત્રી અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ગંભીર બન્યા હતા.
વનમંત્રીએ સ્વીકાર્યું છે કે, સિંહ સામાન્ય રીતે માનવ પર હુમલો નથી કરતો, તેથી આ ઘટના અસ્વાભાવિક અને ગંભીર છે. સિંહોના બદલાતા સ્વભાવ અંગે ઊંડો અભ્યાસ કરવામાં આવશે અને આવી ઘટનાઓ ફરી ન બને તે માટે સરકાર ટૂંકાગાળાના અને લાંબાગાળાના નક્કર પગલાં ભરશે. વનમંત્રીએ આશ્વાસન આપ્યું છે કે, જનતાની પીડા એ સરકારની પીડા છે અને તેના કાયમી ઉકેલ માટે નવી એસ.ઓ.પી. (SOP) પણ બનાવવામાં આવશે.




