અરવલ્લીમાં રોડના કામમાં વેઠના આક્ષેપ: પ્રથમ વરસાદમાં જ ગરનાળું બેસી ગયું, ગ્રામજનોએ ઉઠાવ્યા ગુણવત્તા પર સવાલ



અરવલ્લીમાં રોડના કામમાં વેઠના આક્ષેપ: પ્રથમ વરસાદમાં જ ગરનાળું બેસી ગયું, ગ્રામજનોએ ઉઠાવ્યા ગુણવત્તા પર સવાલ



અરવલ્લી અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં તરકવાડાથી ઓઢા ગામને જોડતા નવા માર્ગના નિર્માણમાં વેઠ રાખવામાં આવી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. ગ્રામજનોની લાંબા સમયથી કરવામાં આવેલી રજૂઆત બાદ આ માર્ગ પર નાનું ગરનાળું બનાવવામાં આવ્યું હતું, પરંતુ પ્રથમ જ વરસાદમાં ગરનાળું બેસી જતાં કામની ગુણવત્તા અંગે અનેક સવાલો ઊભા થયા છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ ગરનાળું બેસી જવાના કારણે માર્ગ જોખમી બની ગયો છે અને અહીં અકસ્માતની ઘટના પણ બની છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો માટે જોખમ વધી ગયું છે.
ગ્રામજનોએ આશંકા વ્યક્ત કરી છે કે આગામી દિવસોમાં વધુ વરસાદ પડશે તો ગરનાળું વધુ નુકસાન પામી શકે છે અને સમગ્ર રસ્તો વાહનવ્યવહાર માટે બંધ થઈ જવાની સ્થિતિ સર્જાઈ શકે છે. જેના કારણે તરકવાડા અને ઓઢા ગામ વચ્ચેની અવરજવર પર સીધી અસર પડશે.
સ્થાનિકોએ તંત્ર સમક્ષ તાત્કાલિક ધોરણે ગરનાળાનું સમારકામ કરવાની અને નબળી ગુણવત્તાનું કામ કરનાર જવાબદાર કોન્ટ્રાક્ટર તેમજ સંબંધિત અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ મામલે ગ્રામજન રતનસિંહ બિહોલાએ જણાવ્યું હતું કે, ગ્રામજનોની માંગ બાદ બનાવાયેલું ગરનાળું પ્રથમ વરસાદ જ સહન કરી શક્યું નથી, જે કામની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.




