અરવલ્લીમાં ચાંદીપુરા વાયરસનો ખતરો! 5 બાળકોના મોત બાદ આરોગ્ય વિભાગ એલર્ટ



અરવલ્લીમાં ચાંદીપુરા વાયરસનો ખતરો! 5 બાળકોના મોત બાદ આરોગ્ય વિભાગ એલર્ટ



અરવલ્લી અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરા વાયરસના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને જિલ્લા આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે. પડોશી સાબરકાંઠા અને દાહોદ જિલ્લામાં વાયરસના કેસ નોંધાતા તેમજ કુલ 11 કેસોમાં 5 બાળકોના મોત થયા બાદ આરોગ્ય તંત્રે સાવચેતીના પગલાં તેજ કર્યા છે.
ખાસ કરીને અરવલ્લીના માલપુર અને મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દવાનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાત-રાજસ્થાન સરહદને અડીને આવેલા વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમો સતત દેખરેખ રાખી રહી છે અને કોઈપણ શંકાસ્પદ કેસ સામે તાત્કાલિક કાર્યવાહી માટે તૈયાર રાખવામાં આવી છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, વર્ષ 2024 દરમિયાન પણ અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા હતા. તેથી આ વર્ષે ખાસ સતર્કતા રાખવામાં આવી રહી છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, સેન્ડ ફ્લાય નામની નાની માખી કાચા મકાનો અને અસ્વચ્છ વિસ્તારોમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. તેના કરડવાથી બાળકોમાં ચાંદીપુરા વાયરસનું સંક્રમણ થવાની શક્યતા રહે છે. કાચા મકાનોમાં રહેતા બાળકો સૌથી વધુ જોખમમાં હોવાથી વાલીઓને ખાસ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
આરોગ્ય વિભાગે લોકોને ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવા, બાળકોને સાંજના સમયે ખુલ્લામાં રમવા ન દેવા, મચ્છરદાની અથવા જાળીનો ઉપયોગ કરવા અને તાવ, ઊલટી, બેભાન થવા જેવા લક્ષણો દેખાય તો તરત નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપીલ કરી છે.




