આણંદમાં DyCM હર્ષ સંઘવીના વિરોધીઓ પર આકરા પ્રહાર, ખોટી વિચારધારા ધરાવતા લોકોને ન જીતાડવા



આણંદમાં DyCM હર્ષ સંઘવીના વિરોધીઓ પર આકરા પ્રહાર, ખોટી વિચારધારા ધરાવતા લોકોને ન જીતાડવા



Anand Harsh Sanghavi: આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. મતદારોને રીઝવવા માટે રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી આણંદ પંથકની મુલાકાતે પહોંચ્યા હતા.
સામરખા ખાતે યોજાયેલી વિશાળ જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. આ પ્રસંગે હર્ષ સંઘવીએ જનમેદનીને સંબોધતા ભાજપ સરકારના વિકાસકાર્યો અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં ભાજપના શાસનને કારણે લોકો નિર્ભયતાથી પોતાના તહેવારો ઉજવી શકે છે.
તેમણે નવરાત્રીના ઉદાહરણ સાથે કહ્યું કે, “આ વર્ષે તમે નવરાત્રી કેટલા વાગ્યા સુધી રમી શક્યા? વહેલી સવાર સુધી રમ્યા ને? ભાજપનું શાસન છે એટલે જ આપણે નિર્ભયતાથી મોડીરાત સુધી નવરાત્રી ઉજવી શકીએ છીએ.”
આગળ તેમણે વિરોધીઓ પર પ્રહાર કરતા કહ્યું કે, જો ચૂંટણીમાં “ખોટી માનસિકતા ધરાવતા લોકો” એક પણ બેઠક જીતશે, તો ગામમાં સામાન્ય ધાર્મિક કાર્યક્રમો યોજવામાં પણ લોકોને મુશ્કેલીઓ ઉભી કરવામાં આવશે. ગણપતિ જેવા તહેવારો માટે પણ લોકોને હેરાનગતિ સહન કરવી પડી શકે છે, તેવી ચેતવણી તેમણે આપી.
હર્ષ સંઘવીએ પોતાના એક નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “મેં ફક્ત એટલું જ કહ્યું હતું કે મારા ગુજરાતીઓ ગુજરાતમાં નવરાત્રી મોડી રાત સુધી રમી શકે, તો શું પાકિસ્તાનમાં જઈને રમે?” આ નિવેદન બાદ તેમના વિરુદ્ધ હાઇકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી, તેમ તેમણે જણાવ્યું.
અંતમાં તેમણે મતદારોને અપીલ કરતા કહ્યું કે, આવી વિચારધારા ધરાવતા લોકોને જીતવા ન દેવી જોઈએ, નહિતર સામાન્ય જનતાને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
આણંદમાં ભાજપના આ પ્રચંડ પ્રચારને કારણે ચૂંટણી વધુ રસપ્રદ બની રહી છે અને આગામી દિવસોમાં રાજકીય પ્રવૃત્તિઓ વધુ તેજ બનવાની સંભાવના છે.




