અંબાજીમાં શક્તિપીઠ કોરિડોર માટે બીજા તબક્કાની ડિમોલિશન કાર્યવાહી શરૂ, 30થી વધુ દબાણો દૂર



અંબાજીમાં શક્તિપીઠ કોરિડોર માટે બીજા તબક્કાની ડિમોલિશન કાર્યવાહી શરૂ, 30થી વધુ દબાણો દૂર



અંબાજી અંબાજી ખાતે શક્તિપીઠ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત સોમવારે બીજા તબક્કાની દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી હેઠળ રેવન્યુ અને ગ્રામ પંચાયતની જમીન પરથી ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ ચાર અલગ-અલગ ઝોનમાં આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં 30થી વધુ મોટા દબાણો સહિત અનેક નાનાં બાંધકામો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. શક્તિપીઠ કોરિડોરના વિકાસ કાર્યને આગળ વધારવા માટે આ અભિયાન મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
આ સમગ્ર કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 500થી વધુ પ્રશાસનિક અને પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. તેમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM), ડેપ્યુટી એસપી, ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર અને પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે.
દબાણ હટાવવાની પ્રક્રિયામાં જેસીબી, ટ્રેક્ટર સહિતની ભારે મશીનરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, ચાર અલગ સ્થળોએ એકસાથે આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ પહેલા પણ રબારી વસ વિસ્તારમાં 85થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ હવે બીજા તબક્કાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
અધિકારીઓએ જણાવ્યું કે શક્તિપીઠ કોરિડોર પ્રોજેક્ટ ઝડપથી આગળ વધી રહ્યો છે અને સમયસર વિકાસ કાર્ય પૂર્ણ થાય તે માટે દબાણ હટાવવાની કાર્યવાહી મહત્વપૂર્ણ સાબિત થશે.




