અમદાવાદના વણઝર ગામ પાસે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, ત્રણ આરોપીની ધરપકડ



અમદાવાદના વણઝર ગામ પાસે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, ત્રણ આરોપીની ધરપકડ



Ahmedabad Police: અસરકારક નાઈટ પેટ્રોલિંગ અને ટીમ વર્કના ઉત્તમ ઉદાહરણરૂપ વણઝર ગામ પાસે સાબરમતી નદીના અવાવરૂ પટ્ટામાં થયેલા અજાણ્યા પુરુષના હત્યાકાંડનો ભેદ ઉકેલવામાં ક્રાઈમ બ્રાન્ચ ઝોન-7ને સફળતા મળી છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ડીસીપી ઝોન-7ની સૂચના અનુસાર, રાત્રિના સમય દરમિયાન વધારાનું પેટ્રોલિંગ ગોઠવવામાં આવ્યું હતું. ત્યારે વણઝર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન સાબરમતી નદીના પટ્ટામાં એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. લાશની હાલત ખૂબ જ ખરાબ હોવાથી ઓળખ કરવામાં મુશ્કેલી પડી રહી હતી.
આ ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી ટેક્નિકલ સર્વેલન્સ, CCTV ફૂટેજ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં સઘન તપાસના આધારે શંકાસ્પદ લોકો સુધી પહોંચવામાં અને ત્યારબાદ ત્રણ લોકોને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.
પકડાયેલા આરોપીઓના નામ
(૧) જાવેદ ઉર્ફે જુનુ વિનોદલાલ કારીમલાલ રહે. સિપાઇ વાસ, સરખેજ ગામ, અમદાવાદ
(૨) જાગીશ ઉર્ફે કાલુ વિલાસભાઈ ઠાકોર રહે. જીયાપુરા રોડ, દસ્ક્રોઇ, અમદાવાદ
(૩) દીપક ઉર્ફે મણી સત્યજી પરમાર રહે. રાવળવાસ, દસ્ક્રોઇ, અમદાવાદ
પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ અંગત અદાવતને કારણે આ હત્યા કર્યાની કબૂલાત કરી છે. વધુમાં જાણવા મળ્યું કે, મૃતક સાથે થયેલા ઝઘડાના પગલે આરોપીઓએ મળીને તેની હત્યા કરી લાશ નદીના પટ્ટામાં ફેંકી દીધી હતી.
આ મામલે સરખેજ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય દંડ સંહિતા કલમ 302 તથા અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા ફરી એકવાર ઝડપી કામગીરી કરીને ગંભીર ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને કાયદેસર સજા સુધી પહોંચાડવા કાર્યવાહી કરવામાં આવી રહી છે.




