અમદાવાદની UN મહેતા હોસ્પિટલની સુએઝ ટેન્કમાં ત્રણ કર્મચારીઓ બેભાન, એકનું મોત



અમદાવાદની UN મહેતા હોસ્પિટલની સુએઝ ટેન્કમાં ત્રણ કર્મચારીઓ બેભાન, એકનું મોત



Ahmedabad UN Mehta Hospital: અમદાવાદ શહેરની યુ.એન. મેહતા હોસ્પિટલના કેમ્પસમાં સોમવારે સાંજે સુએઝ ટેન્ક સંબંધિત ઘટનામાં ત્રણ વ્યક્તિઓ બેભાન થઈ જતા દોડધામ મચી ગઈ હતી. ત્રણેયને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલના આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. મૃતકની ઓળખ રોકી મેકવાન તરીકે થઈ છે.
મળતી માહિતી મુજબ, હોસ્પિટલના કેમ્પસમાં આવેલી અર્ધભરેલી ગ્રાઉન્ડ સુએઝ ટેન્કમાં એક વ્યક્તિ ઉતર્યો હતો. તે દરમિયાન ગૂંગળામણ થતાં તે બેભાન થઈ ટેન્કમાં પડી ગયો હતો. તેને બચાવવા માટે વધુ બે વ્યક્તિઓ ટેન્કમાં ઉતર્યા હતા, પરંતુ તેઓ પણ બેભાન થઈ ગયા હતા.
આ ઘટનાની જાણ અમદાવાદ ફાયર કંટ્રોલ રૂમને સાંજે 7:25 કલાકે કરવામાં આવી હતી. તે પહેલાં શાહપુર ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર ભાવેશ રાવતને સાંજે 7:24 કલાકે સીધો કોલ મળ્યો હતો. ત્યારબાદ નરોડા ફાયર સ્ટેશનને સાંજે 7:28 કલાકે કોલ મળતાં બંને સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
શાહપુર ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર ભાવેશ રાવત પોતાની ટીમ સાથે બોલેરો વાહન દ્વારા જ્યારે નરોડા ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર યુવરાજદાન ગઢવી ERV 'યોદ્ધા' અને ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (ERT) સાથે સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી.
આ ઘટના અંગે અલગ-અલગ દાવાઓ સામે આવ્યા છે. કેટલાક સગા-સંબંધીઓનો આક્ષેપ છે કે, ત્રણેય યુવકોને સુએઝ ટેન્કની સફાઈ માટે ઉતારવામાં આવ્યા હતા, જ્યાં ઝેરી ગેસના કારણે તેમની તબિયત ગંભીર બની હતી. જો કે, હોસ્પિટલના અધિકારીએ જણાવ્યું હતું કે, તેઓ સફાઈનું કામ કરતા નહોતા, પરંતુ અન્ય કામ દરમિયાન એક વ્યક્તિનો પગ લપસતાં તે ટેન્કમાં પડી ગયો હતો અને તેને બચાવવા જતા અન્ય બે વ્યક્તિઓ પણ અંદર ઉતરતાં આ ઘટના બની હતી. આ ઘટનાનું ચોક્કસ કારણ અને હકીકત તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. હાલ પોલીસ અને સંબંધિત તંત્ર સમગ્ર મામલે તપાસ ચલાવી રહ્યું છે.




