જગન્નાથ રથયાત્રા પહેલાં દરિયાપુરમાં પોલીસની એકતા રેલી, શાંતિ જાળવવા અપીલ



જગન્નાથ રથયાત્રા પહેલાં દરિયાપુરમાં પોલીસની એકતા રેલી, શાંતિ જાળવવા અપીલ



અમદાવાદ: ભગવાન જગન્નાથજીની આગામી રથયાત્રાને લઈને અમદાવાદ શહેર પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. રથયાત્રા શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે સંવેદનશીલ વિસ્તાર એવા દરિયાપુરમાં પોલીસ દ્વારા એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલીમાં સ્થાનિક પોલીસ અધિકારીઓ, એસીપી, ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ સ્થાનિક મુસ્લિમ સમાજના આગેવાનો જોડાયા હતા. રેલીનો મુખ્ય ઉદ્દેશ રથયાત્રા દરમિયાન કોમી એકતા જળવાઈ રહે અને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે લોકોમાં વિશ્વાસ અને જાગૃતિ લાવવાનો હતો.
આ પ્રસંગે ડીસીપીએ જણાવ્યું હતું કે રથયાત્રા દરમિયાન શહેરમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને તમામ સંવેદનશીલ વિસ્તારો પર ખાસ નજર રાખવામાં આવશે. તેમણે નાગરિકોને અપીલ કરી હતી કે સોશિયલ મીડિયામાં ફરતા કોઈપણ અફવા કે ભ્રામક સંદેશાઓથી ગેરમાર્ગે દોરાયા વગર માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવો.
પોલીસે જણાવ્યું કે રથયાત્રાને લઈને વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. મેદાનમાં પોલીસ બંદોબસ્ત ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ સતત વોચ રાખવામાં આવી રહી છે, જેથી અફવા ફેલાવનાર અથવા કાયદો-વ્યવસ્થા ભંગ કરવાનો પ્રયાસ કરનાર તત્વો સામે તાત્કાલિક કાર્યવાહી કરી શકાય.




