મશાલના અજવાળે ગુંજ્યું કપરાડાનું દંહીખેડ: ભવ્ય ‘ભોવાડા નૃત્ય’ મહોત્સવ સંપન્ન



મશાલના અજવાળે ગુંજ્યું કપરાડાનું દંહીખેડ: ભવ્ય ‘ભોવાડા નૃત્ય’ મહોત્સવ સંપન્ન



વલસાડ: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના દંહીખેડ (માની ફળિયા) ખાતે પરંપરાગત આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખવાના ઉદ્દેશ્ય સાથે ભવ્ય ‘ભોવાડા નૃત્ય’ મહોત્સવનું ત્રિદિવસીય આયોજન ઉત્સાહભેર સંપન્ન થયું હતું. આધુનિકતાની દોડમાં લુપ્ત થતી આદિવાસી પરંપરાઓને નવી પેઢી સુધી પહોંચાડવા માટે આયોજિત આ મહોત્સવે સમગ્ર વિસ્તારમાં સાંસ્કૃતિક રંગ છલકાવ્યો હતો.
આ ઐતિહાસિક ઉત્સવનું સફળ આયોજન રમજુભાઇ તુળજીભાઇ મુહુંડકર અને તેમના પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસ સુધી રાત્રિના સમયે મશાલના અજવાળે યોજાયેલા આ કાર્યક્રમમાં પરંપરા, ભક્તિ અને લોકકલાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.
મહોત્સવમાં 52 દેવી-દેવતાઓના પાત્રોનું જીવંત પ્રદર્શન મુખ્ય આકર્ષણ રહ્યું હતું. પરંપરાગત વાજિંત્રો જેવા કે ઢોલકી, તુનતુનુ, થાળી, પીપોળી, સાંગળ, કાંહળી, તારપા અને માદળના તાલે સમગ્ર માહોલ ગુંજી ઉઠ્યો હતો.
અલગ-અલગ દેવી-દેવતાઓના સ્વરૂપમાં સજ્જ થઈ નૃત્યકારોએ પરંપરાગત મુખવટા અને વેશભૂષા સાથે રજૂ કરેલા ભોવાડા નૃત્યએ હજારો દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આખું દંહીખેડ ગામ સાંસ્કૃતિક ઉત્સવના રંગોમાં રંગાઈ ગયું હતું અને અંતે આ ભવ્ય મહોત્સવ યાદગાર બની રહ્યો હતો.




