શું રશિયા યુક્રેનનું યુદ્ધ પૂરું થશે? જાણો પુતિને શું ઇશારો કર્યો



શું રશિયા યુક્રેનનું યુદ્ધ પૂરું થશે? જાણો પુતિને શું ઇશારો કર્યો



Russia Ukraine War: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જણાવ્યું છે કે, રશિયા-યુક્રેન યુદ્ધનો અંત નજીક છે. તેમણે સંકેત આપ્યો કે, જો યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કી વ્યક્તિગત વાતચીત કરવા માંગતા હોય, તો તેઓ મોસ્કો આવી શકે છે. જ્યારે પુતિને સ્પષ્ટતા કરી કે, તેમણે ઝેલેન્સ્કી સાથે ઔપચારિક રીતે મુલાકાતનો પ્રસ્તાવ મૂક્યો નથી, પરંતુ તેઓ આવી મુલાકાતને નકારી રહ્યા નથી.
પુતિને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના વહીવટની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, ટ્રમ્પ યુક્રેન સંકટને ઉકેલવા અને સમાધાન સુધી પહોંચવા માટે નિષ્ઠાવાન પ્રયાસો કરી રહ્યા છે. પુતિનના મતે, રશિયાએ યુદ્ધવિરામ લંબાવવા અને યુદ્ધ કેદીઓની આપ-લે કરવાના ટ્રમ્પના પ્રસ્તાવને તાત્કાલિક સ્વીકારી લીધો હતો.
રશિયન રાષ્ટ્રપતિનો આરોપ
રશિયન રાષ્ટ્રપતિએ આરોપ લગાવ્યો કે, કિવ એ વિજય દિવસ પહેલા કહ્યું હતું કે, તે કેદીઓની આપ-લે માટે તૈયાર નથી. તેમણે કહ્યું કે, રશિયા કોઈપણ દેશ સાથેના સંબંધોને નુકસાન પહોંચાડવા માગતું નથી, પરંતુ વિજય દિવસ દરમિયાન યુક્રેન દ્વારા કથિત ઉશ્કેરણી પર મોસ્કોનો પ્રતિભાવ પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. પુતિને એવો પણ દાવો કર્યો હતો કે, રશિયાએ 2022માં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની વિનંતી પર કિવની આસપાસથી તેના સૈનિકો પાછા ખેંચી લીધા હતા.
યુક્રેન સાથે યુદ્ધ કેમ શરૂ થયું?
યુક્રેન સાથેના યુદ્ધની શરૂઆત અંગે, પુતિને કહ્યું કે, પરિસ્થિતિ યુક્રેનના યુરોપિયન યુનિયનમાં જોડાવાના પ્રયાસોથી શરૂ થઈ હતી. તેમના મતે, આ પછી યુક્રેનમાં બળવો થયો, ત્યારબાદ ક્રિમીયન ઘટનાઓ અને અંતે, રશિયાનું ખાસ લશ્કરી ઓપરેશન થયું હતું. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ત્રણ વર્ષથી વધુ સમયથી ચાલી રહ્યું છે. જેના પરિણામે હજારો લોકો મૃત્યુ પામ્યા છે અને લાખો લોકો પ્રભાવિત થયા છે. ઘણી મોટી વિશ્વ શક્તિઓ આ સંઘર્ષને સમાપ્ત કરવાના પ્રયાસોમાં રોકાયેલી છે.
વિક્ટ્રી ડે પરેડમાં હતી ડ્રોન હુમલાની આશંકા
રશિયાએ મોસ્કોને રેડ સ્કાયર પર વિક્ટ્રી ડે પરેડનું આયોજન કર્યું હતું. આ પરેડ છેલ્લા કેટલાક દશકાઓથી સૌથી નાની અને શાંત હતી. તેમાં ના તો રશિયન હથિયારોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, ના મોટી સંખ્યામાં સૈનિકો રાખ્યા હતા. તેનું મુખ્ય કારણ આ પરેડ પર યુક્રેનના ડ્રોન હુમલાની આશંકા હતી.




