રાજકોટ મનપાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી, કોંગ્રેસના નગરસેવકોનો આક્ષેપ



રાજકોટ મનપાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી, કોંગ્રેસના નગરસેવકોનો આક્ષેપ



Rajkot Municipal Corporation: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીના કરવામાં આવેલા દાવાઓની પોલ ખુલી ગઈ હોવાનો આક્ષેપ કોંગ્રેસના નગરસેવકોએ કર્યો છે. રાજકોટની આજી નદીમાં ચારે તરફ ગંદકી અને કચરાના ઢગલાં જોવા મળી રહ્યા હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે.
કોંગ્રેસના નગરસેવકોના જણાવ્યા અનુસાર, રાજકોટવાસીઓની આસ્થાનું કેન્દ્ર ગણાતા રામનાથ મહાદેવ મંદિર આસપાસ દર વર્ષે વરસાદી પાણી અને ગંદકી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. તેમ છતાં આ વર્ષે પણ તંત્ર દ્વારા કોઈ નક્કર અને અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.
આક્ષેપોના પગલે કોંગ્રેસના નગરસેવકો પાવડા લઈને આજી નદીમાં ઉતર્યા હતા અને પ્રતિકાત્મક સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, મનપાના મેયર સહિત અનેક નગરસેવકોનો આ વિસ્તાર વોર્ડમાં આવતો હોવા છતાં લોકોની લાગણી અને આસ્થા સાથે જોડાયેલા રામનાથ મહાદેવ મંદિરની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય યથાવત છે. કોંગ્રેસે મનપા તંત્રને તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરી વરસાદી મોસમ પહેલાં વિસ્તારને સ્વચ્છ બનાવવા માગ કરી છે.




