રાજકોટના કંસારા બજારમાંથી ચોરીનો કેસ, 3 સગીર સહિત 7 આરોપીની ધરપકડ



રાજકોટના કંસારા બજારમાંથી ચોરીનો કેસ, 3 સગીર સહિત 7 આરોપીની ધરપકડ



Rajkot News: રાજકોટના જાણીતા કંસારા બજાર વિસ્તારમાંથી એક મોટી ચોરીનો મામલો સામે આવ્યો હતો. જેનો પોલીસે ગણતરીના કલાકોમાં જ પર્દાફાશ કર્યો છે. કંસારા બજારમાં આવેલી એક દુકાનમાંથી રોકડા રૂપિયા 1,52,000 તેમજ ચાંદી, પિત્તળ અને તાંબાના વાસણો મળી કુલ રૂપિયા 4,88,250ની ચોરી થઈ હોવાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
દુકાનના માલિક સચિનભાઈ શેઠની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. રાત્રિના સમયે થયેલી આ ચોરી દરમિયાન RMCની કચરાની ગાડી ચલાવતા એક ભાઈએ શંકાસ્પદ હિલચાલ જોઈ હતી અને દુકાન માલિકને જાણ કરી હતી. એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ અને સર્વેલન્સ સ્ટાફે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને કુલ 7 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં 3 સગીર વયના આરોપીઓ પણ સામેલ છે.
મુખ્ય આરોપીઓમાં અર્જુન ઉર્ફે ગોધરો પ્રતાપભાઈ બાંભણિયા, પૃથ્વી જીગરભાઈ સંજયભાઈ દાંદોડિયા, દિનેશ ઉર્ફે દિનેશભાઈ બરસાડિયા અને કરણ તુલસીભાઈ વાણવેણિયાનો સમાવેશ થાય છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ અગાઉ પણ અન્ય ત્રણ ચોરીઓ કરી હોવાની કબૂલાત કરી છે. હાલમાં પોલીસ દ્વારા તમામ આરોપીઓની અટકાયત કરી વધુ રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.




