ભાયાવદરમાં વ્યાજખોરોના ત્રાસથી ખેડૂતની આત્મહત્યા; 3ની ધરપકડ, એક ફરાર



ભાયાવદરમાં વ્યાજખોરોના ત્રાસથી ખેડૂતની આત્મહત્યા; 3ની ધરપકડ, એક ફરાર



Rajkot News: રાજકોટ જિલ્લાના ભાયાવદરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને એક ખેડૂત યુવકે આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મૃતકની માતાએ ચાર વ્યાજખોરો સામે ભાયાવદર પોલીસ મથકે નામજોગ ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. જેમાંથી પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે એક આરોપીને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ભાયાવદરના રહેવાસી અને ખેતી સાથે સંકળાયેલા રવિભાઈ મકવાણા નામના યુવકે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવ બાદ મૃતકની માતા નિર્મળાબેન મકવાણાએ ભાયાવદર પોલીસ મથકે ચાર વ્યાજખોરો સામે ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, રવિભાઈને ખેતીકામ માટે નાણાંની જરૂરિયાત ઊભી થતાં ગયા વર્ષે શ્રાવણ માસ દરમિયાન સીદસર ગૌશાળામાં દેવાંગ ભાવેશભાઈ વિરડા સાથે મુલાકાત થઈ હતી. તે સમયે રવિભાઈએ દેવાંગ વિરડા પાસેથી પ્રથમ રૂ. 2 લાખ અને ત્યારબાદ રૂ. 4 લાખ ત્રણ ટકા વ્યાજે લીધા હતા, જેની મૂળ રકમ અને વ્યાજ સમયસર ચૂકવી દેવામાં આવ્યું હતું. જો કે, આશરે છ મહિના અગાઉ રવિભાઈએ ફરીથી દેવાંગ વિરડા પાસેથી ત્રણ ટકા વ્યાજે રૂ. 7 લાખ લીધા હતા અને દર મહિને રૂ. 21 હજાર વ્યાજ ચૂકવતા હતા. વ્યાજની રકમ ભરવા માટે તેમણે અન્ય લોકો પાસેથી પણ ઉંચા વ્યાજે નાણાં લીધા હતા.
ફરિયાદ મુજબ, ગણોદના જસ્મીન અરવિંદભાઈ ચાવડા પાસેથી રૂ. 3 લાખ દસ ટકા વ્યાજે, ઉપલેટાના મિહીર જીતેશભાઈ ચોવટીયા પાસેથી રૂ. 50 હજાર ત્રણ ટકા વ્યાજે તેમજ મૂળ રાજસ્થાનના અને હાલ ભાયાવદરમાં કલરની દુકાન ચલાવતા ઇન્દ્રજીતસિંહ ખીમસિંહ ચૌહાણ પાસેથી રૂ. 3 લાખ ત્રણ ટકા વ્યાજે લીધા હતા. મૃતક રવિભાઈ તમામ વ્યાજખોરોને નિયમિત વ્યાજ ચૂકવતા હતા. પરંતુ આર્થિક સંકટના કારણે જ્યારે વ્યાજની ચુકવણીમાં વિલંબ થતો ત્યારે આરોપીઓ વારંવાર ઘરે આવી તેમજ ફોન પર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
આત્મહત્યા પહેલાં રવિભાઈએ માતાને જણાવ્યું હતું કે, તેઓ વ્યાજના ચક્રમાં ખરાબ રીતે ફસાઈ ગયા છે અને વ્યાજખોરો મૂળ રકમ કરતાં પણ વધુ નાણાંની માગણી કરી રહ્યા છે. માતાએ તેમને સાંત્વના આપી હતી, પરંતુ સતત માનસિક ત્રાસ અને દબાણના કારણે અંતે રવિભાઈએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ સમગ્ર મામલે ભાયાવદર પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી દેવાંગ વિરડા, જસ્મીન ચાવડા અને ઇન્દ્રજીતસિંહ ચૌહાણની ધરપકડ કરી છે. જ્યારે ફરાર આરોપી મિહીર ચોવટીયાને ઝડપી પાડવા માટે પોલીસે તપાસ તેજ બનાવી છે.




