રાજકોટ-અમદાવાદ હાઇવે પર ખાનગી બસમાં આગ, તમામ મુસાફરો સુરક્ષિત



રાજકોટ-અમદાવાદ હાઇવે પર ખાનગી બસમાં આગ, તમામ મુસાફરો સુરક્ષિત



Rajkot Highway: રાજકોટ-અમદાવાદ હાઈવે પર ચોટીલા નજીક સુદામા ટ્રાવેલ્સ બસમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા બસમાંથી ધુમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા. ધુમાડો એકથી દોઢ કિલોમીટર દૂર સુધી જોવા મળ્યા હતા. જેના કારણે હાઈવે પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પ્રાથમિક માહિતી અનુસાર, ભારે તાપમાનના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આગ લાગતાંની સાથે જ બસના પાછળના ભાગની બારીમાંથી મુસાફરોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. સદનસીબે તમામ મુસાફરોનો સમયસર બચાવ કરવામાં આવતા મોટી જાનહાનિ ટળી હતી.
આ બનાવની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા અને બચાવ કામગીરીમાં જોડાયા હતા. હાઈવે પરથી પસાર થતાં વાહનચાલકો પણ વાહનો ઉભા રાખીને મુસાફરોને બહાર કાઢવામાં મદદરૂપ બન્યા હતા. આ ઉપરાંત ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.




