ફિલિપાઇન્સમાં જોરદાર ભૂકંપ, અત્યાર સુધીમાં 19 લોકોના મોત



ફિલિપાઇન્સમાં જોરદાર ભૂકંપ, અત્યાર સુધીમાં 19 લોકોના મોત



Philippines Earthquake: સોમવારે સવારે દક્ષિણ ફિલિપાઇન્સના મિંડાનાઓ પ્રદેશમાં 8.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. જેના કારણે ભારે વિનાશ થયો હતો. શરૂઆતના અહેવાલોમાં કોઈ મોટા નુકસાનની પુષ્ટિ થઈ ન હતી, પરંતુ પછીના ડેટામાં પરિસ્થિતિની ગંભીરતાનો ખુલાસો થયો હતો. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 19 લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે અને સેંકડો ઘાયલ થયા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં ઘણી બહુમાળી ઇમારતો જોરદાર રીતે ધ્રુજી રહી છે, દીવાલો ધરાશાયી થઈ રહી છે અને લોકો પોતાનો જીવ બચાવવા માટે રસ્તાઓ પર દોડી રહ્યા છે. ઘણી જગ્યાએ ઇમારતો સંપૂર્ણપણે કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી.
થોડીક સેકન્ડોમાં બધું બદલાઈ ગયું
સ્થાનિક સમય મુજબ સવારે 7:37 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ મિંડાનાઓ ટાપુ પર જનરલ સેન્ટોસ શહેર નજીક 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. જોરદાર ભૂકંપના કારણે સમગ્ર વિસ્તાર હચમચી ગયો અને લોકોને તેમના ઘરો, ઓફિસો અને શાળાઓ છોડીને ભાગી જવાની ફરજ પડી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ધરતી એટલી જોરથી ધ્રુજી ઉઠી કે ઘણા લોકો ઊભા પણ રહી શક્યા નહીં. કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર તિરાડો પડી ગઈ અને ઘણી જૂની ઇમારતોમાં ગંભીર તિરાડો પડી ગઈ હતી.
વીડિયો જોઇને લોકો ધ્રુજી ઉઠ્યાં
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો આ કુદરતી આફતની ભયાનકતા વર્ણવી રહ્યા છે. કેટલીક જગ્યાએ ઇમારતો પરથી કાટમાળ પડતો જોવા મળે છે, તો કેટલીક જગ્યાએ લોકો ચીસો પાડતા ખુલ્લા મેદાનો તરફ દોડી રહ્યા છે. ઘણા વીડિયોમાં દુકાનોમાંથી સામાન જમીન પર વેરવિખેર જોવા મળે છે. રાહત એજન્સીઓ હજુ પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને શોધી રહી છે. કાટમાળ નીચે વધુ લોકો દટાયેલા મળી આવતાં મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે.
સુનામીની આગાહીથી લોકોમાં ફફડાટ
ભૂકંપ પછી દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી. કેટલાક વિસ્તારોમાં લગભગ ત્રણ ફૂટ ઊંચા મોજા નોંધાયા હતા, જ્યારે શરૂઆતની ચેતવણીમાં મોટા મોજા ઉછળવાની આશંકા હતી. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા હજારો લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. વહીવટીતંત્રે લોકોને દરિયાકિનારાથી દૂર રહેવાની સલાહ આપી હતી. ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ બોંગબોંગ માર્કોસે લોકોને શાંત રહેવા અને સરકારી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી હતી. તેમણે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય ઝડપી બનાવવાનો આદેશ આપ્યો છે. ભૂકંપ પછી ઘણા વિસ્તારોમાં વીજળી પુરવઠો ખોરવાઈ ગયો હતો, જ્યારે સંદેશાવ્યવહાર સેવાઓ પણ પ્રભાવિત થઈ હોવાના અહેવાલો છે.




