સુરતમાં PM મોદીના કાર્યક્રમ માટે તૈયારીઓ પૂર્ણ, નરેન્દ્ર મોદીની આકૃતિ સાથેની ભવ્ય રંગોળી બની આકર્ષણનું કેન્દ્ર



સુરતમાં PM મોદીના કાર્યક્રમ માટે તૈયારીઓ પૂર્ણ, નરેન્દ્ર મોદીની આકૃતિ સાથેની ભવ્ય રંગોળી બની આકર્ષણનું કેન્દ્ર



સુરત સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર કાર્યક્રમને લઈને જોરશોરથી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. કાર્યક્રમ સ્થળે ખાસ આકર્ષણ તરીકે નેચરલ થીમ આધારિત ભવ્ય રંગોળી તૈયાર કરવામાં આવી છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આકૃતિ સાથે "સ્વચ્છ સુરત, સુંદર સુરત"નો સંદેશ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યો છે.
આ રંગોળી તૈયાર કરવા માટે ત્રણ કલાકારોએ સતત બે દિવસ સુધી મહેનત કરી હોવાનું જાણવા મળ્યું છે. વિશેષ રંગો અને કલાત્મક ડિઝાઇનના ઉપયોગથી તૈયાર કરાયેલી આ કૃતિ કાર્યક્રમમાં આવનાર લોકો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની છે. વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખીને શહેરના મુખ્ય માર્ગો, મહત્વના જંકશનો તેમજ ઇન્ડોર સ્ટેડિયમ પરિસરને લાઇટિંગ, બેનરો અને વિવિધ સજાવટથી શણગારવામાં આવ્યું છે. સમગ્ર શહેરમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
બીજી તરફ સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ પોલીસ અને વહીવટી તંત્ર એલર્ટ મોડમાં છે. સુરત પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને ઉચ્ચ અધિકારીઓએ કાર્યક્રમ સ્થળ તેમજ આસપાસના વિસ્તારોની મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી છે. આવતીકાલે યોજાનારી વડાપ્રધાનની જાહેર સભાને લઈને સુરતવાસીઓમાં ઉત્સાહ અને આતુરતા જોવા મળી રહી છે, જ્યારે તંત્ર દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા તમામ જરૂરી વ્યવસ્થાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજ્યના સુરત અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણની મુલાકાત લેશે. રાજ્યના વિકાસમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.
- સુરતમાં આશરે ₹18,800 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન,
- રાષ્ટ્રને સમર્પિત અને શિલાન્યાસ કરશે. તેઓ દમણમાં આશરે ₹2,970 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કરશે..
- વડાપ્રધાન બપોરે 2:30 વાગ્યે સુરત જિલ્લાના હજીરા પહોંચશે,
- જ્યાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અને માળખાગત પ્રોજેક્ટ્સની સમીક્ષા કરશે.
- બપોરે 4:15 વાગ્યે તેઓ સુરતમાં એક જાહેર સભાને સંબોધિત કરશે અને ₹18,800 કરોડથી વધુના પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે.
- રોડ પ્રોજેક્ટ્સ અને હોસ્પિટલોનું ઉદ્ઘાટન
- વડાપ્રધાન વડોદરા-મુંબઈ 8-લેન એક્સેસ-કંટ્રોલ્ડ એક્સપ્રેસવેના પેકેજ VI અને VII રાષ્ટ્રને સમર્પિત કરશે
- આ ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે હાઇ-સ્પીડ ટ્રાન્સપોર્ટેશન, લોજિસ્ટિક્સ અને આર્થિક જોડાણને મજબૂત બનાવશે
- વડાપ્રધાન NH-56 ના મહત્વપૂર્ણ ભાગોના ચાર લેન બનાવવાની યોજનાનો શિલાન્યાસ કરશે.
- આ પ્રોજેક્ટ આદિવાસી વિસ્તારોમાં રોડ કનેક્ટિવિટી વધારશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવાની સુવિધા આપશે.
- સુરતમાં 200 બેડની ESIC હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે.
- આ હોસ્પિટલ આધુનિક આરોગ્યસંભાળ સુવિધાઓ, 24 કલાક ઇમરજન્સી અને ટ્રોમા કેર પૂરી પાડશે.
- આ ઉપરાંત પાવર ટ્રાન્સમિશન નેટવર્ક વિસ્તરણ, વલસાડમાં સુધાર-આધારિત પાવર વિતરણ યોજના, દહેજ PCPIR અને જંબુસર બલ્ક ડ્રગ પાર્ક સહિત અનેક મહત્વપૂર્ણ ઔદ્યોગિક અને ઉપયોગિતા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવશે.




