નડિયાદનું સખી વન સ્ટોપ સેન્ટર વિવાદમાં, કાઉન્સેલિંગના નામે ધર્માંતરણ-લગ્ન માટે દબાણનો આરોપ



નડિયાદનું સખી વન સ્ટોપ સેન્ટર વિવાદમાં, કાઉન્સેલિંગના નામે ધર્માંતરણ-લગ્ન માટે દબાણનો આરોપ



નડિયાદઃ શહેરમાં આવેલુ સખી વન સ્ટોપ સેન્ટર વિવાદમાં આવ્યું છે. જેમાં કાઉન્સેલિંગના નામે યુવતી પર ધર્માંતરણ અને લગ્ન માટે દબાણ કરવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં કામ કરતી યુવતીને નોકરી દરમિયાન ખ્રિસ્તી યુવક સાથે પ્રેમ થયો હતો. ત્યારે યુવતીએ આ બાબતે પરિવારને લગ્ન માટે જાણ કરી હતી. ત્યારે પરિવારે આનાકાની કરીને યુવતીને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરિવારના વિરોધ બાદ યુવતીએ 181 અભયમમાં કોલ કરીને મદદ માગી હતી. ત્યારે અભયમની ટીમ યુવતીને સખી વન સ્ટોપ સેન્ટરમાં લઈ ગઈ હતી.
યુવતીના પિતાએ સખી વન સેન્ટર પર આક્ષેપ કર્યો છે કે, સેન્ટર તરફથી યુવતીને સમજાવવાના બદલે યુવકને સારો કહીને પરિવારને લગ્ન માટે સમજાવવામાં આવ્યા હતા. ત્યારે કાઉન્સેલિંગ દરમિયાન શંકાસ્પદ રીતે યુવતીની સહી લેવામાં આવી હતી. સેન્ટરમાંથી ફોન આવતા પરિવાર અને વકીલ યુવતીને લેવા માટે પહોંચ્યા હતા. જો કે, યુવતીએ પરિવાર સાથે જવાની ના પાડતા મામલે ગરમાયો હતો.
આ મામલે વકીલ કેતન પટેલે નારી સેન્ટર પર કાઉન્સેલિંગના નામે દબાણ અને ધર્માંતરણના આક્ષેપ કર્યા છે. તો આ મામલે મહિલા અને બાળ અધિકારીએ જણાવ્યું છે કે, યુવતીની ઈચ્છા મુજબ આગળની કાર્યવાહી થશે.




