મંત્રીઓ નહીં ફરશે લાંબા કાફલા સાથે, ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય



મંત્રીઓ નહીં ફરશે લાંબા કાફલા સાથે, ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય



ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પેટ્રોલ-ડીઝલ બચત અને કિફાયત અંગેની અપીલ બાદ ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે રાજ્ય સરકારના મંત્રીઓને બિનજરૂરી કોન્વોય અને પાયલોટિંગ કાર ફાળવવામાં નહીં આવે. સરકારના આ પગલાને ઈંધણ બચત અને સરકારી ખર્ચમાં ઘટાડા તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
માહિતી મુજબ, સુરક્ષા કેટેગરી ધરાવતા VVIP નેતાઓ સિવાય અન્ય કોઈ મંત્રી અથવા VIP માટે ખાસ કોન્વોય કે પાયલોટિંગ વાહનો ઉપલબ્ધ નહીં કરાવવામાં આવે. રાજ્યની સુરક્ષા વ્યવસ્થામાં ‘કેટેગરી’ અને ‘નોન-કેટેગરી’ એમ બે પ્રકારની વ્યવસ્થા હોય છે, જેમાં રાજ્ય મંત્રીમંડળના મોટાભાગના સભ્યો નોન-કેટેગરીમાં આવે છે.
હવે આવા નોન-કેટેગરીના VIP નેતાઓને પોલીસ પાયલોટિંગ કે વધારાના કોન્વોય વાહનો આપવામાં નહીં આવે. સરકારનું માનવું છે કે આ નિર્ણયથી બિનજરૂરી ઈંધણ વપરાશમાં નોંધપાત્ર ઘટાડો થશે અને સાથે સરકારી ખર્ચમાં પણ બચત થશે.
તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેટલાક મંત્રીઓએ પણ ટૂંકા કાફલા સાથે કાર્યક્રમોમાં હાજરી આપીને ઈંધણ બચતનો સંદેશ આપ્યો હતો. હવે રાજ્ય સરકારના આ નિર્ણય બાદ કિફાયત અને સાદગી અંગે નવી ચર્ચા શરૂ થઈ છે.
સરકારના આ નિર્ણયને સામાન્ય લોકો તરફથી પણ સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. લોકોનું માનવું છે કે જનપ્રતિનિધિઓ દ્વારા આવા પગલાં લેવાથી ઈંધણ બચત અંગે સમાજમાં જાગૃતિ વધશે અને સરકારી તંત્રમાં સાદગીનો સંદેશ જશે.




