પંચ દશનામ જૂના અખાડાના નવા અધ્યક્ષ તરીકે હરિહરાનંદભારતી બાપુની સર્વાનુમતે નિમણૂક



પંચ દશનામ જૂના અખાડાના નવા અધ્યક્ષ તરીકે હરિહરાનંદભારતી બાપુની સર્વાનુમતે નિમણૂક



Junagadh News: જૂનાગઢના ભવનાથ સ્થિત ભારતી આશ્રમ ખાતે ધાર્મિક અને સામાજિક એકતાનો ભવ્ય માહોલ જોવા મળ્યો હતો. શ્રી પંચ દશનામ જૂના અખાડા-જૂનાગઢના નવા અધ્યક્ષ તરીકે મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુની સર્વાનુમતે નિમણૂક થયા બાદ તેમના સન્માનમાં વિશાળ સત્કાર સમારોહ યોજાયો હતો. જેમાં અઢારે વરણના લોકો, સંત-મહંતો, સમાજના આગેવાનો અને સેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાપુનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું.
ભારતી આશ્રમના સ્થાપક અને જૂના અખાડાના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ વિશ્વંભરભારતી બાપુ બ્રહ્મલીન થયા બાદ ખાલી પડેલા જૂના અખાડાના અધ્યક્ષ પદ માટે તાજેતરમાં નાસિક ખાતે યોજાયેલી સંતોની બેઠકમાં મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુની વરણી કરવામાં આવી હતી. આ નિમણૂકને આવકારવા આજે જૂનાગઢના ભવનાથ સ્થિત ભારતી આશ્રમ ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો.
અઢારે વરણના ગુજરાતભરમાંથી આવેલા સેવકો, શિષ્યો, વિવિધ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનોએ બાપુને હારતોરા, પુષ્પગુચ્છ અને સાલ અર્પણ કરી સન્માનિત કર્યા હતા. હરિહરાનંદભારતી બાપુ ગૌસેવા, શિક્ષણ, અન્નક્ષેત્ર અને માનવસેવાની પ્રવૃત્તિઓને વધુ ગતિ આપી રહ્યા છે.
ભારતી આશ્રમના વિકાસ સાથે અનેક નવા પ્રકલ્પો પણ આગળ વધી રહ્યા છે. આ પ્રસંગે સંતો અને આગેવાનોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, હરિહરાનંદ ભારતી બાપુના માર્ગદર્શન હેઠળ ભારતી આશ્રમ અને જૂના અખાડાની પરંપરા વધુ ગૌરવ સાથે આગળ વધશે. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.




