જામનગરમાં ભરબપોરે અજાણ્યા પુરુષની લાશ મળી, પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો



જામનગરમાં ભરબપોરે અજાણ્યા પુરુષની લાશ મળી, પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો



Jamnagar News: જામનગર શહેરના વાલકેશ્વરી મેઇન રોડ પર ભરબપોરે એક અજાણ્યા પુરુષની લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા અને સ્થળ પર ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
આ ઘટનાની માહિતી મળતાં જ સીટી બી-ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.
પોલીસ દ્વારા મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હાલ મૃતકની ઓળખ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે અને તેના પરિવારજનો સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
પ્રાથમિક તબક્કે મોતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. અકસ્માત, અચાનક બિમારી, કુદરતી મૃત્યુ કે અન્ય કોઈ કારણસર મોત થયું છે કે કેમ તે અંગે પોલીસ તમામ દિશામાં તપાસ કરી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે. હાલ સીટી બી-ડિવિઝન પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવી રહી છે.




