જામનગર રૂરલ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ વેલફેર એસોસિએશનમાં વિવાદ અંગે સ્પષ્ટતા, કહ્યું - સહદેવસિંહની વાતો ઉપજાવી કાઢેલી



જામનગર રૂરલ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ વેલફેર એસોસિએશનમાં વિવાદ અંગે સ્પષ્ટતા, કહ્યું - સહદેવસિંહની વાતો ઉપજાવી કાઢેલી



Jamnagar Cricket Association: જામનગરમાં ક્રિકેટને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે રૂરલ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ વેલફેર એસોસિએશને જાહેર સ્પષ્ટતા કરી છે. સંસ્થાએ જણાવ્યું છે કે, વ્યક્તિગત રીતે કરવામાં આવતી બયાનબાજી સાથે સંસ્થાનો કોઈ સંબંધ નથી અને સંસ્થાનો મુખ્ય હેતુ માત્ર ક્રિકેટનો વિકાસ છે.
સંસ્થાના હોદ્દેદારો અને ટ્રસ્ટીઓની સહમતીથી બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં જણાવાયું છે કે, સહદેવસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવતા વ્યક્તિગત નિવેદનો સંસ્થાના સત્તાવાર વિચારો નથી.
સંસ્થાએ સ્પષ્ટ કર્યું છે કે, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તેમને માન્યતા આપવામાં આવી છે અને જામનગર જિલ્લાના ક્રિકેટરોને વિવિધ ટુર્નામેન્ટમાં મોકલી રમતને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ સાથે જ સંસ્થાએ જણાવ્યું કે, તેમનું ફોકસ માત્ર ક્રિકેટ રમતનો વિકાસ અને ખેલાડીઓના હિત પર જ કેન્દ્રિત છે.
RDCWA જામનગરના પ્રમુખ હિતેશ ભટ્ટ જણાવે છે કે, જામનગર ક્રિકેટ વિકાસના ટ્રેક પર છે. ખેલાડીઓને તમામ સુવિધાઓ આપવામાં આવી રહી છે. અમારું ફોકસ અફવાઓ પર નથી અને ક્રિકેટના વિકાસ પર છે. તેઓ જણાવે છે કે, ‘સહદેવસિંહ ચુડાસમાં સેક્રેટરી છે, જેમની સામે અમારે કોર્ટમાં કેસ ચાલે છે. તેઓ પોતાની મરજી મુજબ ક્રિકેટ અંગેની વાતો કરે છે. બીજા મેમ્બર્સની સહમતિ વગર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના અગેઇન્સ્ટ હોવાની વાત કરે છે. આ વાત તેમની ઉપજાવી કાઢેલી છે. એમને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તરફથી બોલ મળે છે, નેટ મળે છે અને અમને જ્યારે જોઈએ ત્યારે મદદ કરે છે. એટલે સહદેવસિંહ દ્વારા કરવામાં આવેલી વાતો ઉપજાવી કાઢેલી છે.’




