જામનગરમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન JMC ટીમ પર હુમલો, 4 કર્મચારીઓ ઘાયલ



જામનગરમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન JMC ટીમ પર હુમલો, 4 કર્મચારીઓ ઘાયલ



Jamnagar News: જામનગર શહેરમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન જામનગર મહાનગરપાલિકા (JMC)ની ટીમ પર હુમલો થતાં ચકચાર મચી ગઈ છે. બાવરીવાસ વિસ્તારમાં દબાણ હટાવવા પહોંચેલી JMCની એસ્ટેટ શાખાની ટીમ પર કેટલાક લોકોએ સ્પ્રે, પથ્થરમારો અને હથિયારો વડે હુમલો કર્યો હોવાનો આરોપ છે.
આ હુમલામાં JMCના ચાર કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવા કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, દબાણ હટાવવાની સરકારી કામગીરી દરમિયાન સ્થાનિક સ્તરે વિરોધ થયો હતો. ત્યારબાદ મામલો ઉગ્ર બનતા ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાના કારણે વિસ્તારમાં ભારે તણાવનો માહોલ સર્જાયો હતો.
સરકારી કર્મચારીઓ પર હુમલાની ઘટનાને ગંભીરતાથી લઈ તંત્ર દ્વારા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને હુમલાખોરોની ઓળખ તેમજ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
JMCની ટીમ પર થયેલા હુમલાથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા છે. હાલ પોલીસ દ્વારા ઘટનાસ્થળના પુરાવા અને અન્ય વિગતો એકત્રિત કરીને વધુ તપાસ કરવામાં આવી રહી છે.




