કાલાવડની મણવર ખીજડીયાની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ, મધ્યાહ્ન ભોજન આરોગ્યા બાદ તબિયત લથડી



કાલાવડની મણવર ખીજડીયાની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ, મધ્યાહ્ન ભોજન આરોગ્યા બાદ તબિયત લથડી



Jamnagar News: જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મણવર ખીજડીયા ગામની શાળામાં મધ્યાહ્ન ભોજન લીધા બાદ આશરે 10 જેટલા વિદ્યાર્થીઓની તબિયત બગડતાં ફૂડ પોઈઝનિંગની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પ્રાથમિક માહિતી મુજબ, વિદ્યાર્થીઓએ શાળામાં રસ-પૂરી અને બટાકાનું શાક આરોગ્યા બાદ તેમને ઉલટી અને ઝાડાની ફરિયાદ શરૂ થઈ હતી. બાળકોની તબિયત લથડતા તમામ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે કાલાવડ તાલુકાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
એક વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું કે, મધ્યાહ્ન ભોજન લીધા બાદ જ ગઈકાલ સાંજથી બાળકોની તબિયત બગડવાની શરૂઆત થઈ હતી. તેમણે આક્ષેપ કર્યો કે, આટલી ગંભીર ઘટના બનવા છતાં હજુ સુધી શાળા તંત્રનો કોઈ પ્રતિનિધિ હોસ્પિટલ અથવા વાલીઓની મુલાકાતે આવ્યો નથી.
આ સમગ્ર ઘટનાને લઈને વાલીઓમાં ચિંતા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ, આરોગ્ય વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા ઘટનાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. ફૂડ પોઈઝનિંગનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.




