અમદાવાદના સરખેજમાં ભારતી આશ્રમ વિવાદમાં, ઈકા બાપુને તમામ જવાબદારીઓમાંથી હટાવાયા



અમદાવાદના સરખેજમાં ભારતી આશ્રમ વિવાદમાં, ઈકા બાપુને તમામ જવાબદારીઓમાંથી હટાવાયા



અમદાવાદ: સરખેજ સ્થિત ભારતી આશ્રમ ફરી એકવાર ગંભીર વિવાદમાં ઘેરાઈ ગયો છે. આશ્રમ સાથે જોડાયેલા ઇશ્વરાનંદ ભારતી ઉર્ફે ઈકા બાપુ સામે યુવાનો સાથે અશ્લીલ ચેનચાળા અને અયોગ્ય વર્તનના ગંભીર આક્ષેપો બાદ ટ્રસ્ટે મોટો નિર્ણય લીધો છે.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા મામલો ગરમાયો
ચાર દિવસ પહેલા સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો અને ફોટા વાયરલ થયા હતા, જેમાં ઈકા બાપુ પર યુવાનો સાથે અયોગ્ય વર્તનના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ ઘટનાએ શહેરમાં ભારે ચર્ચા જગાવી હતી.
યુવાને પોલીસ ફરિયાદ કરવાનો દાવો, પરંતુ ફરિયાદ ન નોંધાઈ હોવાનો આરોપ
મામલાને લઈને એક યુવાન સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયો હતો, તેમ છતાં પોલીસે તેની ફરિયાદ સ્વીકારી નહોતી હોવાનો દાવો પણ સામે આવ્યો છે. આ મુદ્દે પણ ચર્ચાઓ તેજ બની છે.
આશ્રમ ટ્રસ્ટનો મોટો નિર્ણય: ઈકા બાપુને હટાવાયા
વિવાદ વધતા ભારતી આશ્રમ ટ્રસ્ટે આંતરિક બેઠક બાદ નિર્ણય લીધો છે કે ઇશ્વરાનંદ ભારતી ઉર્ફે ઈકા બાપુને તમામ જવાબદારીઓમાંથી મુક્ત કરવામાં આવે. ટ્રસ્ટે સ્પષ્ટ કર્યું છે કે આશ્રમની શિસ્ત અને ધાર્મિક લાગણીઓ જળવાઈ રહે તે માટે આ પગલું જરૂરી હતું.
આશ્રમ અને સંસ્થાઓથી દૂર રહેવાની સૂચના
ટ્રસ્ટ દ્વારા ઈકા બાપુને ભારતી આશ્રમ તથા તેની સાથે જોડાયેલી તમામ સંસ્થાઓથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. હાલ આ સમગ્ર મામલો શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે અને સોશિયલ મીડિયા પર પણ વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.




