શામળાજી–અમદાવાદ હાઈવે પર ભયાનક અકસ્માત: ખાનગી બસે કારને પાછળથી મારી ટક્કર મારતા 6 લોકના મોત



શામળાજી–અમદાવાદ હાઈવે પર ભયાનક અકસ્માત: ખાનગી બસે કારને પાછળથી મારી ટક્કર મારતા 6 લોકના મોત



હિંમતનગર: ઉત્તર ગુજરાતમાં શામળાજી–અમદાવાદ હાઈવે પર બુધવારે સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જવાનગઢ પાટિયા નજીક એક અતિઝડપે દોડતી ખાનગી બસે કારને પાછળથી જોરદાર ટક્કર મારતા કારમાં સવાર તમામ 6 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
પ્રાથમિક માહિતી મુજબ મૃતકો મોડાસા તાલુકાના સરડોઈ ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે અને તેઓ કૂપ તરફ જઈ રહ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો ભૂકો બોલાઈ ગયો હતો.
અકસાન્ત બાદ આસપાસના લોકો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સની મદદથી ઈજાગ્રસ્તોને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
ઘટનાની જાણ થતાં ગંભોઈ પોલીસ સ્ટેશન ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને અકસ્માત અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
અકસાન્તને કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. બાદમાં ક્રેનની મદદથી વાહનોને દૂર કરી માર્ગ ફરી શરૂ કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હાઈવેના ડિવાઈડર પર બનાવાયેલા ગેરકાયદેસર કટને કારણે અકસ્માત સર્જાયો હોઈ શકે છે. કાર ચાલક ડિવાઈડર પાર કરવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારે પાછળથી આવી રહેલી બસે ટક્કર મારી હોવાનું અનુમાન છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ માર્ગ પર ગેરકાયદેસર કટ અને અસુરક્ષિત ક્રોસિંગના કારણે વારંવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે, જેને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.




