કિર્તીદાન ગઢવીને હાઈકોર્ટની નોટિસ, ઇવેન્ટ ઓર્ગેનાઈઝર મારપીટ કેસમાં કાર્યવાહી



કિર્તીદાન ગઢવીને હાઈકોર્ટની નોટિસ, ઇવેન્ટ ઓર્ગેનાઈઝર મારપીટ કેસમાં કાર્યવાહી



ગુજરાત ગુજરાત હાઈકોર્ટે લોકગાયક કિર્તીદાન ગઢવી અને CID ક્રાઈમ સાઇબર સેલના કેટલાક પોલીસ અધિકારીઓને નોટિસ ફટકારી છે. અમદાવાદના એક ઇવેન્ટ ઓર્ગેનાઈઝરને ગેરકાયદે કસ્ટડીમાં રાખી મારપીટ કરવાના આરોપોને લઈને કરવામાં આવેલી અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે આ કાર્યવાહી કરી છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદના ખોડિયારનગર વિસ્તારમાં રહેતા જયેશ પરમારે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજદારે દાવો કર્યો છે કે વર્ષ 2025માં નવરાત્રિ ઇવેન્ટ માટે તેમની અને કિર્તીદાન ગઢવી વચ્ચે ભાગીદારી થઈ હતી, પરંતુ બાદમાં નાણાકીય મુદ્દે વિવાદ ઊભો થયો હતો.
અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે 20 ફેબ્રુઆરી 2025ના રોજ કોઈ વોરંટ અથવા નોટિસ વગર સાયબર સેલના અધિકારીઓએ જયેશ પરમારને કસ્ટડીમાં લઈ સવારથી મોડી રાત સુધી ગેરકાયદે રીતે ગોંધી રાખ્યા અને મારપીટ કરી હતી. આ અંગે મેડિકલ પુરાવા પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.
અરજદારે આક્ષેપ કર્યો છે કે આ સમગ્ર ઘટનામાં કિર્તીદાન ગઢવી મુખ્ય સૂત્રધાર છે અને પોલીસ સાથે સાંઠગાંઠ કરીને તેમને હેરાન કરવામાં આવ્યા હતા.
આ મામલે હાઈકોર્ટે ગંભીર નોંધ લઈને કિર્તીદાન ગઢવી સહિત SP રાજદીપસિંહ ઝાલા, PI બી.એમ. ચૌધરી અને PSI પરમારને નોટિસ પાઠવી સ્પષ્ટતા માગી છે. સાથે જ કોર્ટે 20 અને 21 ફેબ્રુઆરીના દિવસોના પોલીસ સ્ટેશનના CCTV ફૂટેજ સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે અરજદાર જયેશ પરમાર સામે પણ ગાંધીનગર CID ક્રાઈમમાં કરોડો રૂપિયાની છેતરપિંડીનો કેસ નોંધાયેલો છે, જેમાં ઓનલાઈન ટિકિટ વેચાણમાં ગેરરીતિનો આરોપ છે. આ કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે.




