સુરતમાં મસાલા પર આરોગ્ય વિભાગની તવાઈ: તમામ ઝોનમાં સઘન ચેકિંગ શરૂ



સુરતમાં મસાલા પર આરોગ્ય વિભાગની તવાઈ: તમામ ઝોનમાં સઘન ચેકિંગ શરૂ



સુરત: મસાલા ભરવાની સિઝન શરૂ થતાં જ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરભરમાં સઘન ચેકિંગ અભિયાન શરૂ કર્યું છે. શહેરના તમામ ઝોનમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા મસાલાની દુકાનો, ગોડાઉન અને ઉત્પાદન એકમોમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ અભિયાન દરમિયાન મસાલામાં હાનિકારક રંગ, કેમિકલ અથવા અન્ય ભેળસેળવાળા પદાર્થોનો ઉપયોગ થાય છે કે નહીં તેની તપાસ માટે વિવિધ સ્થળોએથી સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સેમ્પલને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.
આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે જો તપાસ રિપોર્ટમાં ભેળસેળ સામે આવશે તો સંબંધિત વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ દંડ ફટકારવા સહિત લાઈસન્સ સંબંધિત પગલાં પણ લેવામાં આવી શકે છે.
તાજેતરમાં કેરીના રસ અને બરફના ગોળાની ગુણવત્તા ચકાસણી બાદ હવે મસાલાના ચેકિંગ પર તંત્રએ ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ઉનાળાની સિઝનમાં લોકો મોટા પ્રમાણમાં મસાલા ભરાવતા હોય છે, ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડાં ન થાય તે માટે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.
શહેરમાં ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો સામે કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગે વેપારીઓને ગુણવત્તાયુક્ત અને નિયમો મુજબના ખાદ્યપદાર્થોનું વેચાણ કરવા સૂચના પણ આપી છે.




