ગુજરાત આવેલા ઇબોલાના શંકાસ્પદ દર્દીના બ્લડ સેમ્પલ પૂણે મોકલાયા, 4 લોકો ક્વોરેન્ટાઇન



ગુજરાત આવેલા ઇબોલાના શંકાસ્પદ દર્દીના બ્લડ સેમ્પલ પૂણે મોકલાયા, 4 લોકો ક્વોરેન્ટાઇન



Gujarat Ebola Virus: ગુજરાતના આરોગ્યમંત્રી પ્રફુલ પટેલે ઇબોલા વાયરસને લઈને મોટી અપડેટ આપી છે. તેમણે જણાવ્યું છે કે, અમદાવાદમાં એક અલાયદો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ઇબોલા વાયરસના શંકાસ્પદ કેસને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
તેઓ જણાવે છે કે, અમોરી લોકુલા નામના એક બિઝનેસમેન પાંચ-સાત દિવસ પહેલાં બોમ્બે આવ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી બરોડા આવ્યા હતા. તાવ આવવાનું જણાતા તેમને વડોદરાની બેન્કર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને હેલ્થ વિભાગને આની જાણ થતાં તેમને અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઇબોલા વાયરસનો અલાયદો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.
તેઓ કહે છે કે, તેમની સાથે બે વ્યક્તિ હતા. પેટ્રિક કાઝા અને વેલેન્ટિન જોર્ડન, હાલ તે બંનેને પણ એસવીપી હોસ્પિટલના વોર્ડમાં ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. આ સિવાય અન્ય એક ડોક્ટર સુનિલ મુસા તેમની સાથે કામકાજથી સંકળાયેલા હતા તેમને પણ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
તેઓ જણાવે છે કે, હાલ જેમને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. તેમનામાં ઇબોલા વાયરસની પુષ્ટિ થઈ નથી. અગમચેતીના પગલાં રૂપે તેમને 10-11 દિવસ ક્વોરેન્ટાઇન કરવામાં આવશે. હાલ તેમના બ્લડ રિપોર્ટ પૂણે મોકલી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ એક વ્યક્તિને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા અને તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
તેઓ કહે છે કે, તેમની સાથે સંકળાયેલા લોકોને કોઈપણ તકલીફ નથી, તે છતાં તેમને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. હાલ તાવના દર્દીની હાલત સ્થિર છે. તેમનું ટેમ્પરેચર કન્ટ્રોલમાં છે. આરોગ્ય વિભાગની ટીમ સતત કામ કરી રહી છે. માત્ર કોંગો અને યુગાન્ડાથી આવેલા લોકો માટે જ આ ગાઇડલાઇન છે.




