ચૈતર વસાવાના ધારાસભ્ય પદ પર સંકટ? ‘બે વર્ષથી વધુ સજા એટલે પદ આપોઆપ ખાલી’: પૂર્ણેશ મોદી



ચૈતર વસાવાના ધારાસભ્ય પદ પર સંકટ? ‘બે વર્ષથી વધુ સજા એટલે પદ આપોઆપ ખાલી’: પૂર્ણેશ મોદી



Chaitar Vasava: ચૈતર વસાવાને થયેલી સજાના પગલે તેમના ધારાસભ્ય પદને લઈને ચર્ચાઓ વચ્ચે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, કોઈપણ ધારાસભ્યને બે વર્ષથી વધુની સજા થાય તો કાયદાની જોગવાઈ મુજબ તેનું સભ્યપદ આપોઆપ રદ થઈ જાય છે.
પૂર્ણેશ મોદીએ દાવો કર્યો કે, કાયદાની કલમ-8 હેઠળ આ અંગે સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર, ચૈતર વસાવાની બેઠક કાયદાકીય રીતે ખાલી ગણાશે અને ઉપલી અદાલતમાંથી રાહત ન મળે ત્યાં સુધી તેઓ ધારાસભ્ય પદ માટે ગેરલાયક ગણાશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, સજા પર સ્ટે ન મળે ત્યાં સુધી ધારાસભ્ય પદ રદ થયેલું માનવામાં આવે છે. આ ઉપરાંત બે વર્ષથી વધુની સજાના કિસ્સામાં સંબંધિત વ્યક્તિ પર ચૂંટણી લડવા અંગે પણ પ્રતિબંધ લાગુ પડે છે.
પૂર્ણેશ મોદીના જણાવ્યા અનુસાર, જો કાયદાકીય રાહત ન મળે તો ચૈતર વસાવા આગામી છ વર્ષ સુધી કોઈપણ ચૂંટણી લડી શકશે નહીં. તેમના આ નિવેદન બાદ ચૈતર વસાવાના ધારાસભ્ય પદને લઈને રાજકીય ચર્ચાઓ તેજ બની છે. જો કે, ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી દ્વારા ઉપલી અદાલતમાં જવાની જાહેરાત કરવામાં આવી છે અને હવે આગામી કાયદાકીય પ્રક્રિયા પર સૌની નજર મંડાઈ છે.




