વડોદરામાં ગેસ પુરવઠા અંગે મહત્વનો નિર્ણયની જાહેરાત



વડોદરામાં ગેસ પુરવઠા અંગે મહત્વનો નિર્ણયની જાહેરાત



વડોદરામાં ગેસ પુરવઠા અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિશ્વમાં ચાલી રહેલા તણાવ અને યુદ્ધની અસર હવે સ્થાનિક સ્તરે પણ જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ, છેલ્લા કેટલાક દિવસોથી ગેસ પુરવઠા અંગે અનિશ્ચિતતા સર્જાતા પાઈપલાઈન ગેસ આપતી કંપનીએ પુરવઠા સમય મર્યાદિત કરવાનો નિર્ણય લીધો છે.
માહિતી અનુસાર હવે પાઈપલાઈન દ્વારા મળતો ગેસ દિવસ દરમિયાન ફક્ત 5 કલાક જ ઉપલબ્ધ રહેશે. તેમાં સવારે લગભગ 3 કલાક અને સાંજે 2 કલાક ગેસ પુરવઠો આપવામાં આવશે. આ નિર્ણયને કારણે શહેરના અનેક વિસ્તારોમાં રહેનાર લોકો, ખાસ કરીને ગૃહિણીઓમાં ચિંતા જોવા મળી રહી છે.
અધિકારીઓનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને સપ્લાય ચેન પર પડતી અસરને કારણે આ પગલું લેવામાં આવ્યું છે. યુદ્ધના કારણે ઘણા દેશોમાં ઊર્જા પુરવઠા અને પરિવહન વ્યવસ્થાઓ ઉપર અસર પડી રહી છે, જેના કારણે ગેસ સહિતના ઈંધણના પુરવઠા પર દબાણ વધ્યું છે.
આ વચ્ચે શહેરમાં ગેસ સિલિન્ડરની માંગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. કેટલીક જગ્યાએ ગેસ સિલિન્ડરની અછતની વાતો સામે આવી રહી છે, જેના કારણે લોકો વહેલી સવારે જ સિલિન્ડર લેવા માટે લાઈનમાં ઉભા રહેતા જોવા મળી રહ્યા છે.
વહીવટી તંત્ર અને પુરવઠા વિભાગ દ્વારા ગેસ સિલિન્ડરની કાળાબજારી અટકાવવા માટે અલગ–અલગ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે જેઓ પાસે પાઈપલાઈન ગેસની સુવિધા છે અને છતાં ગેરરીતે સિલિન્ડર સંગ્રહ કરે છે, તેમના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
અધિકારીઓ લોકો પાસે અપીલ કરી રહ્યા છે કે ગેસનો ઉપયોગ સમજદારીપૂર્વક કરે અને અનાવશ્યક સંગ્રહ ન કરે, જેથી તમામ લોકોને પૂરતો પુરવઠો મળી શકે.
જો સ્થિતિમાં સુધારો થશે તો ગેસ પુરવઠા સમય ફરી વધારવાનો પણ વિચાર કરવામાં આવી શકે છે.




