અમિત શાહની અધ્યક્ષતામાં ‘દિશા’ની મહત્વપૂર્ણ બેઠક, DyCM હર્ષ સંઘવી પણ હાજર



અમિત શાહની અધ્યક્ષતામાં ‘દિશા’ની મહત્વપૂર્ણ બેઠક, DyCM હર્ષ સંઘવી પણ હાજર



Gandhinagar News: ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે જિલ્લા વિકાસ સમન્વય અને દેખરેખ સમિતિ ‘દિશા’ની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્ર સરકાર પુરસ્કૃત વિવિધ ફ્લેગશિપ યોજનાઓની પ્રગતિ અને જિલ્લાના વિકાસ કાર્યોની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, જિલ્લાઓમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને કાર્યક્રમોના અમલીકરણ પર દેખરેખ રાખવા માટે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા દિશા સમિતિઓની રચના કરવામાં આવી છે. વિકાસ કાર્યક્રમોની પ્રગતિ પર મોનીટરીંગ, તેનો કાર્યક્ષમ અને અસરકારક રીતે અમલ થાય તે સુનિશ્ચિત કરવામાં દિશા સમિતિઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અમિતભાઈ શાહે તમામ વિભાગોની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરીને જણાવ્યું હતું કે, જિલ્લાના ખાતેદાર ખેડૂતોને આર્થિક રીતે વધુ સધ્ધર બનાવવા અને 'એક પણ ખેડૂત પશુધન વગરનો ન રહે તે માટે તેમણે ત્વરિત સર્વે કરીને દરેક ખેડૂત ખાતેદારને ઓછામાં ઓછા બે પશુધન પૂરા પાડવા માટે સૂચન કર્યું હતું.
અમિત શાહે વરસાદ ખેંચાવવવાના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા તાત્કાલિક કન્ટીજન્સી પ્લાન તૈયાર કરવા અને બિનપિયત વિસ્તારનો સર્વે હાથ ધરી વિગતો તૈયાર કરવા પણ સૂચના આપી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રીએ સેકન્ડરી વિભાગમાં દીકરીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે ત્રણ-ચાર ગામનું એક કલસ્ટર બનાવીને નવી શાળાનું નિર્માણ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતું. તેમણે જિલ્લામાં વિદ્યાર્થીઓમાં વાંચનનું પ્રમાણ વધે તે માટે નવનિર્મિત લાયબ્રેરીઓ વિશે જાગૃતિ લાવવા અને આ નવીન લાયબ્રેરીઓને જિલ્લાકક્ષાની મુખ્ય લાયબ્રેરી સાથે કનેક્ટ કરવા જણાવ્યું હતું.
આ ઉપરાંત ગાંધીનગર જિલ્લામાં ઘરેલુ ગેસ જોડાણ, શૌચાલય, પીવાના તથા સિંચાઈના પાણીની સુવિધા, તેમજ વીજળીની સુવિધા વગરના જે ગામો હોય એનો તાત્કાલિક સર્વે કરાવીને રિપોર્ટ તૈયાર કરવા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના સંદર્ભે 'ગ્રામ' શબ્દની વ્યાખ્યા વધુ સ્પષ્ટ કરવા અને ઓછામાં ઓછા 35થી વધુ ઘર હોય અને વીજ જોડાણ ધરાવતા હોય તેવા પરા/વિસ્તારોને ધોરણોમાં નિયત કરવા જણાવ્યું હતું.
અમિત શાહે તેમણે જિલ્લાના 70 વર્ષથી ઉપરના તમામ વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન ભારત યોજના હેઠળના કાર્ડ વિના વિલંબ સત્વરે મળી રહે તે માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવા કડક સૂચનાઓ આપી હતી.
બેઠકની શરૂઆતમાં જિલ્લા કલેકટર રવિન્દ્ર ખતાલેએ શાબ્દિક સ્વાગત પ્રવચન કરી ગૃહમંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોને આવકાર્યા હતા. વહીવટી તંત્ર દ્વારા ગાંધીનગર સંસદીય ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે લેવાયેલા પગલાં અને ભવિષ્યના આયોજન અંગે વિગતવાર પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું.




