ખેડૂતો માટે લડનાર રાજુ કરપડાનો આપ છોડીને ભાજપમાં એન્ટ્રી બાદ પહેલી જોરદાર પ્રતિક્રિયા



ખેડૂતો માટે લડનાર રાજુ કરપડાનો આપ છોડીને ભાજપમાં એન્ટ્રી બાદ પહેલી જોરદાર પ્રતિક્રિયા



AAPમાંથી રાજીનામું આપ્યા બાદ ખેડૂત નેતા રાજુ કરપડા ભાજપમાં સત્તાવાર રીતે જોડાયા બાદ તેમની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે જણાવ્યું કે તેઓ શરૂઆતથી જ એક સ્વપ્ન લઈને રાજકીય પક્ષ સાથે જોડાયા હતા અને તેમનો મુખ્ય હેતુ ખેડૂતો માટે મજબૂત સંગઠન ઉભું કરવાનો રહ્યો છે. ખેડૂતોના હક્ક માટે તેઓ સતત લડતા રહ્યા છે અને અનેક મુદ્દાઓ પર મજબૂત અવાજ ઊઠાવ્યો છે. હળદર કાંડ દરમિયાન તેમણે જેલવાસ પણ ભોગવ્યો હોવાનો ઉલ્લેખ કરીને કહ્યું કે ખેડૂતોના હિત માટે તેઓ હંમેશા આગળ રહ્યા છે.
રાજુ કરપડાએ કહ્યું કે માત્ર સત્તા પક્ષનો વિરોધ કરીને ખેડૂતોના પ્રશ્નોનું સમાધાન શક્ય નથી. ખેડૂતોના પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવા માટે સત્તા પક્ષ સાથે જોડાવું જરૂરી બને છે. આ વિચારો સાથે જ તેમણે ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભાજપ સરકાર સાથે રહી તેઓ પોતાના ખેડૂતોને સમૃદ્ધિ તરફ લઈ જઈ શકશે અને તેમની સમસ્યાઓના ઉકેલ માટે વધુ અસરકારક રીતે કામ કરી શકશે.
તેમણે સ્વીકાર્યું કે હાલ ખેડૂતોની સ્થિતિ સંપૂર્ણ રીતે સારી નથી, પરંતુ સરકારે કમોસમી વરસાદને ધ્યાનમાં રાખીને 10 હજાર કરોડનું ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું છે, જે ખેડૂતો માટે રાહતરૂપ બનશે. આ સાથે તેમણે કહ્યું કે તેઓ ખેડૂતોના સ્વપ્નોને સાકાર કરવા માટે જ ભાજપમાં જોડાયા છે.
સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણી અંગે તેમણે સ્પષ્ટતા કરી કે તેઓ ટિકિટ માગવાના નથી અને પાર્ટી જે નિર્ણય કરશે તે તેમને માન્ય રહેશે.




