દ્વારકાધીશ જગતમંદિરની આવક પાંચ વર્ષમાં ₹101 કરોડ પાર



દ્વારકાધીશ જગતમંદિરની આવક પાંચ વર્ષમાં ₹101 કરોડ પાર



દ્વારકા: વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં આવેલ ભગવાન દ્વારકાધીશના જગતમંદિરમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ભક્તિ અને આવક બંનેમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. દેવસ્થાન સમિતિ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ નાણાકીય વર્ષ 2021-22 થી 2025-26 દરમિયાન મંદિરની કુલ આવક ₹101.31 કરોડ સુધી પહોંચી છે.
વર્ષવાર આંકડા મુજબ 2021-22માં ₹13.76 કરોડ, 2022-23માં ₹19.79 કરોડ, 2023-24માં ₹23.78 કરોડ, 2024-25માં ₹21.92 કરોડ તથા 2025-26માં ₹22.04 કરોડથી વધુની આવક નોંધાઈ છે. આ રીતે પાંચ વર્ષના ગાળામાં કુલ આવક ₹101.30 કરોડથી વધુ રહી છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં દ્વારકા વિસ્તારમાં પ્રવાસન પ્રવૃત્તિઓમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. શિવરાજપુર બીચ અને નવનિર્મિત ‘સુદર્શન સેતુ’ જેવા આકર્ષણો ઉમેરાતા યાત્રાળુઓ અને પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થયો છે.
મહામારી બાદ ધાર્મિક સ્થળોએ ભક્તોની ભીડમાં પણ મોટો ઉછાળો નોંધાયો છે. સાથે જ દ્વારકા વિસ્તારમાં પ્રવાસનલક્ષી માળખાગત સુવિધાઓ અને કનેક્ટિવિટી સુધરતા યાત્રાળુઓ માટે દર્શન વધુ સુગમ બન્યા છે.
છેલ્લા પાંચ વર્ષમાં અનેક જાણીતી હસ્તીઓ અને વીવીઆઈપી મહેમાનોની મુલાકાતોને કારણે દ્વારકા વધુ પ્રખ્યાત બન્યું છે. આજે દ્વારકા માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર જ નહીં, પરંતુ ગુજરાતના મુખ્ય પ્રવાસન હબ તરીકે પણ ઉભરી રહ્યું છે.




