સંતરામપુરમાં CMનું જોરદાર રોડશો: ‘સમર્થન ભાજપને જ’, વિકાસ મુદ્દે મત માંગ્યા



સંતરામપુરમાં CMનું જોરદાર રોડશો: ‘સમર્થન ભાજપને જ’, વિકાસ મુદ્દે મત માંગ્યા



મહીસાગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સંતરામપુર ખાતે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રતાપપુરા મેદાન ખાતે યોજાયેલી વિકાસ સંકલ્પ સભામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. દશરથ બારિયા અને કુબેર ડિંડોર સહિત સ્થાનિક આગેવાનો દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

સભામાં સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, “અમે ગામેગામ લાઈટ, રસ્તા અને સુવિધાઓ પહોંચાડી છે, નાના ગામોમાં પણ હોસ્પિટલો ઉભી કરી છે.” તેમણે મહીસાગર જિલ્લાના સંતરામપુરની ધરતી પરથી ગોવિંદ ગુરુ અને માનગઢના શહીદોને વંદન કર્યું હતું.
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, “અઢી દાયકા પહેલા આ વિસ્તારમાં પાણી, વીજળી અને રસ્તાઓનો અભાવ હતો, પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર વિસ્તારનો કાયાકલ્પ થયો છે.” તેમણે સ્થાનિક નાગરિકોના ભાજપ પ્રત્યેના વિશ્વાસ અને સમર્થનને પ્રોત્સાહક ગણાવ્યું હતું.
સભા દરમિયાન મુખ્યમંત્રીએ નાગરિકોને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને જ્વલંત વિજય અપાવવાનું આહવાન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં ભાજપ કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો.




