નારણપુરામાં AMTS બસનું બ્રેક ફેલ થતા અકસ્માત: કાર અને બે બાઈકને ટક્કર



નારણપુરામાં AMTS બસનું બ્રેક ફેલ થતા અકસ્માત: કાર અને બે બાઈકને ટક્કર



અમદાવાદ: નારણપુરા રેલવે ક્રોસિંગ રોડ નજીક આજે AMTSની બસનું બ્રેક ફેલ થવાને કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. નિયંત્રણ ગુમાવેલી બસે રસ્તા પર ચાલતી એક કાર અને બે બાઈકને પાછળથી ટક્કર મારી હતી, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ AMTSની સર્ક્યુલર રૂટ બસ નંબર 400 લાલ દરવાજાથી લાલ દરવાજા તરફ જઈ રહી હતી ત્યારે નારણપુરા ક્રોસિંગ નજીક આ અકસ્માત થયો હતો. અચાનક બ્રેક ફેલ થતાં બસે આગળ જઈ રહેલી કાર અને બે મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી.
ટક્કરના કારણે એક બાઈકચાલક રસ્તા પર પટકાયો હતો અને તેને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને પરિસ્થિતિ તંગ બની ગઈ હતી.
ઘટના બાદ ટ્રાફિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને સ્થાનિક લોકોએ બસ ડ્રાઈવરને પકડી પોલીસ સ્ટેશન સુધી લઈ ગયા હતા. કેટલાક લોકોએ આરોપ લગાવ્યો હતો કે અકસ્માત સમયે ડ્રાઈવર નશાની હાલતમાં હતો.
પરંતુ AMTS અધિકારીઓએ પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે કે અકસ્માત બ્રેક ફેલ થવાના કારણે થયો હોવાનો અંદાજ છે. ડ્રાઈવર ભુખન સિંહને પોલીસ સ્ટેશન લઈ જઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સાથે જ AMTSના અકસ્માત નિરીક્ષક અને ખાનગી ઓપરેટર એડિનાથ બલ્ક કેરિયર્સની ટેકનિકલ ટીમ પણ સ્થળ પર પહોંચી બસની તપાસ કરી રહી છે. પોલીસ દ્વારા તપાસ પૂર્ણ થયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.




